વડોદરા,તા.27.મે.બુધવાર,2020
લોકડાઉનમાં બંધ થયેલી આવક વચ્ચે ઈએમઆઈનો ચેક બાઉન્સ થવાના કારણે લગાડવામાં આવતી પેનલ્ટીને લઈને ગેંડા સર્કલ ખાતે આવેલી બજાજ ફાઈનાન્સ કંપનીની ઓફિસ પર લોકોએ હોબાળો મચાવ્યો હતો.
આ પૈકીના એક હેમંત મોદી નામના ગ્રાહકે કહ્યુ હતુ કે, મારી જેમ બીજા ઘણા લોકોએ અલગ-અલગ વસ્તુઓ માટે બજાજ ફાઈનાન્સ કંપનીમાંથી લોન લીધી છે.કેન્દ્ર સરકારે લોકડાઉનમાં ઓગષ્ટ મહિના સુધી હપ્તા નહી ભરવા માટે છૂટ આપેલી છે પણ કંપનીએ ગ્રાહકોને આ અંગે જાણકારી આપી જ નથી.બજાજ ફાઈનાન્સની ઓફિસમાં લોકો જ્યારે પૂછવા જાય છે ત્યારે જવાબ મળે છે કે, તમે જો આ વિકલ્પ પસંદ કરો તો જ તેનો લાભ તમને મળી શકે છે અને તમારે અમને જાણ કરવાની રહે છે.હવે જે બહુ ભણેલા નથી તેમને તો આના માટે શું કાર્યવાહી કરવાની તેની ખબર નથી હોતી.
આ લોન ધારકનુ કહેવુ હતુ કે, લોકડાઉનમાં પૈસા નહી હોવાથી જેઓ હપ્તા ભરી શકતા નથી તેમના ચેક બેન્કમાં એક નહી ચાર-ચાર વખત ઓટો સિસ્ટમથી કંપની દ્વારા રજૂ કરવામાં આવે છે.આમ ગ્રાહકોને ચાર-ચાર વખત બાઉન્સ થતા ચેક માટે પેનલ્ટી ભરવાનો વારો આવી રહ્યો છે.આ બાબતે રજૂઆત કરવામાં આવે છે તો ઓફિસમાંથી સરખો જવાબ પણ મળતો નથી.જેના કારણે આજે મારે અન્ય લોન ધારકો સાથે ભેગા થઈને અવાજ ઉઠાવવાની ફરજ પડી હતી.દરમિયાન અન્ય એક ગ્રાહકે કહ્યુ હતુ કે, મને એક જ મહિનામાં આઠ-આઠ વખત પેનલ્ટી ફટકારવામાં આવી છે.


