Get The App

સાત વર્ષના માસૂમ પુત્રને મારી નાંખ્યા બાદ માતા - પિતાએ આપઘાત કરી લીધો

બેડરૃમની દીવાલ પર અંતિમ ચિઠ્ઠી લખી કે,મોતનું કારણ આર્થિક ભીંસ છે,અમારી મરજીથી પગલું ભર્યુ છે

Updated: Jan 9th, 2023

GS TEAM

Google News
Google News
સાત વર્ષના માસૂમ  પુત્રને મારી નાંખ્યા બાદ  માતા - પિતાએ આપઘાત કરી લીધો 1 - image

 વડોદરા,વાઘોડિયા રોડ સવિતા હોસ્પિટલ નજીક દર્શનમ ઉપવનમાં રહેતા અને શેરબજારનું કામ કરતા પરિવારે આર્થિક ભીંસમાં આવીને  માસૂમ ૭ વર્ષના પુત્રને મોતની ચાદર ઓઢાવી દીઘી  હતી.ત્યારબાદ  માતા  પિતાએ  પણ જીવન ટૂંકાવી દીધું હતું.બનાવના પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી ગઇ હતી.પાણીગેટ પોલીસે સ્થળ પર પહોંચીને મૃતદેહ પી.એમ.માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા.અને બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

શહેરમાં ચકચાર જગાવનાર બનાવની વિગત એવી છે કે,વાઘોડિયા રોડ પર દર્શનમ ઉપવનમાં  પ્રિતેશ  પ્રતાપભાઇ મિસ્ત્રી (ઉ.વ.૩૦) તેમની પત્ની સ્નેહા (ઉ.વ.૩૨) તથા સાત વર્ષના પુત્ર હર્ષિલ સાથે રહેતા હતા.શેરબજારનું કામ કરતા પ્રિતેશ મિસ્ત્રીએ ગઇકાલે સાંજે પોતાની માતા શીલાબેનને મેસેજ કર્યો હતો કે,આવતીકાલે તમે ઘરે આવજો.આપણે સાથે  જમીશું.જેથી,આજે સવારે સાડા દશ વાગ્યે શીલાબેન  પુત્રના ઘરે ગયા હતા.ઘરે જઇને તેમને જોયું તો મુખ્ય દરવાજો બંધ  હતો.જેથી,મકાનના પાછળના દરવાજાથી તેઓ ઉપરના માળે  ગયા હતા.બેડરૃમનો દરવાજો સ્હેજ અડકાવેલો હતો.તેમણે દરવાજો ખોલીને જોયું તો તેમના પગ નીચેથી જમીન સરકી  ગઇ હતી.કારણકે તેમની નજર સામે જ તેમના પુત્રની લાશ લટકતી હતી.તેમણે બેડરૃમની અંદર જઇને જોયું તો બેડ પર તેમની પુત્રવધૂ  સ્નેહા અને પૌત્ર હર્ષિલના મૃતદેહ  પડયા હતા.આ બનાવ જોઇને તેઓએ બૂમાબૂમ કરી મૂકી હતી.જેના  પગલે પાડોશીઓ દોડી આવ્યા હતા.અને પોલીસને જાણ કરી હતી.બેડરૃમની દીવાલ પર હર્ષિલે અંતિમ ચિઠ્ઠી લખી હતી કે,આપઘાતનું કારણ આર્થિક ભીંસ છે.આ પગલું અમે અમારી મરજીથી ભર્યુ છે.

પોલીસે ત્રણેયના મૃતદેહ પી.એમ.માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા.દરમિયાન પોલીસે પ્રિતેશ, તેની પત્ની સ્નેહાના મોબાઇલ ફોન  પણ કબજે લીધા છે.કારણકે  પ્રિતેશે દીવાલ પર લખેલી અંતિમ ચિઠ્ઠીમાં એવો પણ ઉલ્લેખ કર્યો છે કે,મેં મારા મોબાઇલમાં અંતિમ ચિઠ્ઠી લખી છે.પ્રિતેશને શેર બજારમાં મોટી ખોટ ગઇ હતી કે કેમ ? તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.પોલીસને હાલના તબક્કે એવી જાણકારી મળી છે કે,પ્રિતેશે બેન્ક અને નોન બેન્કીંગ ફાઇનાન્સ સેક્ટરમાંથી લીધેલી લોનનું દેવું વધી ગયું હતું.જોકે,કેટલું દેવું હતું ? તે અંગે હજી પોલીસ તપાસ કરી રહી છે.

 રિક્વેસ્ટ કે,અમારા ફેમિલી મેમ્બર્સને હેરાન ના કરતા

બહુ દેવું વધી ગયું છે,હવે અમારા  પાસે કોઇ ઓપ્શન રહ્યું નથી

વડોદરા,પ્રિતેશે અંતિમ પગલું ભરતા પહેલા દીવાલ  પર એક અંતિમ ચિઠ્ઠી લખી હતી.જેમાં ઉલ્લેખ કર્યો હતો કે,

મેઇન રિજન છે ,ઓન્લી ફાઇનાન્સિયલ સિચ્યુએશન છે.બહુ દેવું વધી ગયું છે.હવે કોઇ ઓપ્શન નથી રહ્યું અમારી જોડે.

૬ થી ૭ વર્ષથી અમે અલગ રહીએ છીએ.અમારી ફાઇનાન્સિયલ રિસ્પોન્સબિલીટી અમારા સાથે એન્ડ થઇ જશે.

પોલીસ કમિશનર સરને રિક્વેસ્ટ છે.અમારા ફેમિલી મેમ્બર્સને હેરાન કરતા નહી.આ અમે અમારી મરજીથી કર્યુ છે.


.પ્રિતેશે લખ્યું કે,સોરી મોમ,અમારી મરજીથી પગલું ભર્યુ છે

 વડોદરા, ગઇકાલે સાંજે પુત્રનો મેસેજ આવતા આજે સવારે માતા શીલાબેન પુત્રના ઘરે ગયા હતા.ઘરનો દરવાજો બંધ હોવાથી તેમણે પુત્ર પ્રિતેશને કોલ કર્યો હતો.બે થી ત્રણ કોલ કરવા છતાંય પ્રિતેશે કોલ રિસિવ નહી કરતા તેમણે પુત્રવધૂ સ્નેહાને કોલ કર્યો હતો.તેણે પણ કોલ રિસિવ નહી કરતા તેઓ મકાનના પાછળના ભાગના દરવાજાથી અંદર ગયા હતા. પ્રિતેશે પોતાની માતાને ઉદ્દેશીને લખ્યું હતું કે,સોરી મોમ,આ અમે અમારી મરજીથી પગલું ભર્યુ છે.અમારી સ્યૂસાઇડ નોટ અમારા મોબાઇલ ફોનમાં છે.જેથી,પોલીસે મોબાઇલ ફોન કબજે લીધો છે.અને મોબાઇલ ફોનની સ્યૂસાઇડ નોટમાં પ્રિતેશે શું ઉલ્લેખ કર્યો છે ? તેની તપાસ હાથ ધરી છે.


મોતનું સાચું કારણ જાણવા વિશેરા લેવાયા 

 વડોદરા,મિસ્ત્રી  પરિવારના સભ્યોના મૃતદેહનું પીએમ મોડી સાંજ સુધી ચાલ્યુ હતું.પ્રિતેશના મોતનું કારણ તો ગળા ફાંસો જ છે.પરંતુ,તેની પત્ની અને પુત્રના મોતનુું સાચું કારણ જાણવા માટે વિશેરા ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવશે.કારણકે બંનેના મૃતદેહો બેડ પરથી મળી આવ્યા હતા.જોકે,પ્રાથમિક અહેવાલ  મુજબ, પ્રિતેશની પત્ની અને પુત્રને ગૂંગળામણથી મોત થયા હતા.જ્યારે પ્રિતેશનું મોત ગળા ફાંસાથી થયું હોવાનું જાણવા મળ્યું છે.


માતા અને બહેનના વિલાપથી વાતાવરણ ગમગીન

પ્રિતેશે તાજેતરમાં જ નવી કાર ખરીદી હતી

 વડોદરા,પ્રિતેશના પરિવારની ઘટના પછી છાણી જકાતનાકા વિસ્તારમાં રહેતી તેની બહેન પ્રિયા પણ ઘરે દોડી આવી હતી.વાડી કુંભારવાડામાં સિદ્ધિ વિનાયક ફ્લેટમાં રહેતા પ્રિતેશના માતા અને બહેનની હાલત એવી હતી કે,તેઓ કશું બોલી શકતા નહતા.તેમની આંખોમાંથી માત્ર આંસુ જ વહેતા  હતા.પ્રિતેશના ફેમિલી સાથે સંપર્ક ધરાવતા કેતનભાઇએ જણાવ્યું હતું કે,પ્રિતેશ વેલસેટ હતો.કોઇ તકલીફ નહતી.તાજેતરમાં જ તેણે નવી કાર લીધી હતી.આવું પગલું કયા સંજોગોમાં ભર્યુ તે અંગે અમને પણ આશ્ચર્ય છે.પ્રિતેશના પિતાનું વર્ષો પૂર્વે અવસાન થયું હતું.



લોન પર લીધેલી વસ્તુઓ રોકડામાં વેચીને શેરબજારમાં રોકાણ કરતો

એક ખાનગી કંપનીમાં અગાઉ ફાઇનાન્સિયલ એડવાઇઝર તરીકે નોકરી કરતો હતો

 વડોદરા,પોલીસની તપાસમાં એવી વિગતો જાણવા મળી છે કે,પ્રિતેશ અગાઉ સયાજીગંજ વિસ્તારમાં આવેલી ખાનગી શેર ટ્રેડિંગનું કામ કરતી કંપનીમાં નોકરી કરતો હતો.વર્ષ ૨૦૧૬ થી ૨૦૨૧ દરમિયાન તે ફાઇનાન્સિયલ એડવાઇઝર તરીકે કામ કરતો હતો.પોલીસે તેના એક મિત્રની કરેલી  પૂછપરછમાં એવી વિગતો પ્રકાશમાં આવી છે કે,પ્રિતેશ કોઇ વસ્તુ લોન પર લે પછી તે વસ્તુને રોકડામાં વેચી દેતો હતો.અને તેના જે પૈસા મળે તેનું રોકાણ શેરબજારમાં કરતો હતો.શેરબજારમાં  જો તેને નફો થાય તો તે લોનનું પેમેન્ટ કરતો હતો.નહીંતર ડીફોલ્ટર થતો હતો.આ કારણસર તે આર્થિક દેવામાં ઉતરી  ગયો હોવાનું અનુમાન છે.વર્ષ - ૨૦૨૧ પછી તો તેને નોકરી પણ છોડી દીધી હતી.અને ઘરેથી જ શેરબજારનું કામ કરતો હતો.


 પ્રિતેશે પત્ની અને માતાના નામે પણ લોન લીધી હતી

 વડોદરા,પોલીસની પ્રાથમિક તપાસમાં એવી પણ વિગતો જાણવા મળી  છે કે,પ્રિતેશના આ બીજા લગ્ન છે.તેના પ્રથમ લગ્ન કિરણ નામની યુવતી સાથે થયા હતા.પરંતુ,બંને વચ્ચે મનભેદ થતા વર્ષ - ૨૦૧૩ માં  તેઓ વચ્ચે છૂટાછેડા થયા હતા.ત્યારબાદ તેણે સ્નેહા સાથે લગ્ન કર્યા હતા.અને તેના થકી તેને સાત વર્ષનો પુત્ર હતો.પ્રિતેશ લોન લઇને સમયસર હપ્તા ભરતો નહી હોવાથી તેને વધુ લોન મળે તેમ નહતી.જેથી,તેણે પત્ની અને માતાના નામે  પણ લોન લીધી હોવાનું જાણવા મળ્યું છે.