ગટરલાઈન તુટી જતા મચ્છરનો ઉપદ્રવ વિદ્યાર્થીઓ રાતે સુઈ પણ શકતા નથી
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીના બોયઝ હોસ્ટેલ કેમ્પસમાં ગટરના ઉભરાઈ રહેલા પાણીના કારણે અહીંયા રહેતા સેંકડો વિદ્યાર્થીઓ પર રોગચાળાનો ગંભીર ખતરો ઉભરાઈ રહ્યો છે.
હોસ્ટેલ કેમ્પસમાં આવેલા કે એમ હોલ તેમજ એલ બી એસ હોલની વચ્ચે આવેલી ગટર લાઈન છેલ્લા બે મહિનાથી તુટી ગઈ છે અને વિદ્યાર્થીઓ દ્વારા આ મુદ્દે વારંવાર સત્તાધીશોનુ ધ્યાન દોરવામાં આવ્યુ હોવા છતા આ સમસ્યાનો ઉકેલ આવ્યો નથી.યુનિવર્સિટીના રેઢિયાળ અને સંવેદનહીન તંત્રે રાબેતા મુજબ વિદ્યાર્થીઓની ફરિયાદ એક કાને સાંભળીને બીજા કાનેથી કાઢી નાંખી છે.
વિદ્યાર્થીઓએ કહ્યુ હતુ કે, ગટરના પાણી ભરાઈ રહ્યા છે અને તેમાં ચોમાસુ પણ ચાલી રહ્યુ છે.જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે.ગટરના પાણીનુ દુર્ગંધથી વિદ્યાર્થીઓ રાત્રે સુઈ પણ ના શકે તેવી સ્થિતિ છે.ઉપરાંત મચ્છરો હેરાન કરે છે તે અલગ.આ સ્થિતિમાં વિદ્યાર્થીઓ ગંભીર રોગચાળાનો ભોગ બની શકે છે.
બીજી તરફ હોસ્ટેલ સત્તાધીશોનુ કહેવુ છે કે, જે ગટર લાઈન તુટી ગઈ છે તે કોર્પોરેશનની છે અને કોર્પોરેશનને પણ આ બાબતે જાણ કરવામાં આવી છે.આમ છતા હજી સુધી ગટરલાઈન રીપેર કરવા માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
યુનિવર્સિટી હોસ્ટેલ કેમ્પસની નર્કાગાર જેવી સ્થિતિ માટે હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓએ અવાજ ઉઠાવ્યા બાદ આજે સાંજે એબીવીપી દ્વારા પણ ચીફ વોર્ડનને આવેદનપત્ર આપીને કાર્યવાહી કરવાની માંગ કરાઈ હતી.