સીએના મુખ્ય વિષયોની પરીક્ષા પણ ઓપન બૂક એક્ઝામ સિસ્ટમ પ્રમાણે લેવાશે
વડોદરાઃ સીએની પરીક્ષામાં હવે ઓપન બૂક એક્ઝામ સિસ્ટમ પર વધારે ભાર મુકવામાં આવશે અને બહુ જલ્દી સીએ ફાઈનલના મુખ્ય વિષયોની પરીક્ષા પણ ઓપન બૂક એક્ઝામ સિસ્ટમથી લેવાશે તેમ ઈન્સ્ટિટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયાના પ્રમુખ નિહાર જંબુસરીયાએ પત્રકારો સાથે વાતચીતમાં કહ્યુ હતુ.
તેઓ સીએની વડોદરા બ્રાન્ચના કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવ્યા હતા.આ દરમિયાન પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યુ હતુ કે, છેલ્લે સીએના કોર્સમાં ૨૦૧૭માં ફેરફારો થયો હતા.જોકે પાંચ વર્ષમાં ફરી એક વખત કોર્સમાં ફેરફાર કરવા માટેની કવાયત ચાલી રહી છે.જેમાં ઓપન બૂક એક્ઝામ પર અમે ભાર મુકી રહ્યા છે.દેશમાં પરીક્ષાઓ માત્ર યાદ શક્તિ પર આધારિત હોય છે પણ સીએમાં આ સિસ્ટમ અમે બદલવા માંગીએ છે.વિદ્યાર્થીઓ જે ભણ્યા છે તે સમજયા છે કે નહીં તે માટે ઓપન બૂક એક્ઝામના વિકલ્પને અમલમાં મુકાશે.હાલમાં સીએમાં ઈલેક્ટિવ વિષયની પરીક્ષા ઓપન બૂક એક્ઝામ પધ્ધતિથી લેવામાં આવે છે પણ આગામી વર્ષથી સીએ ફાઈનલના મુખ્ય વિષયોમાં પણ ઓપન બૂક એક્ઝામ સિસ્ટમ લાગુ કરવા માટે આયોજન થઈ રહ્યુ છે.આ માટે હાલમાં સમાજના વિવિધ વર્ગ પાસેથી સૂચન પણ મંગાવવામાં આવ્યા છે.ફાઈનલ બાદ ઈન્ટર તેમજ ફાઉન્ડેશનમાં પણ આ પરીક્ષા પધ્ધતિ લાગુ કરવામાં આવશે.
તેમણે આગળ કહ્યુ હતુ કે, કોરોના કાળમાં સીએની ડિમાન્ડ વધી ગઈ છે.પહેલા કેમ્પસ ઈન્ટરવ્યૂ માટે અમારી પાસે જેટલા વિદ્યાર્થીઓ રજિસ્ટર થતા હતા તેમાંથી ૩૦ થી ૩૫ ટકાને જોબ ઓફર થતી હતી.કોરોનાકાળમાં કેમ્પસ ઈન્ટરવ્યૂમાં પસંદ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા હવે ૭૦ ટકા જેટલી થઈ ગઈ છે.એવુ નથી કે અચાનક જ ઈકોનોમીમાં તેજી આવી ગઈ છે પણ કોરોનાના કારણે ઠપ થયેલા ધંધા રોજગારને ફરી બેઠા કરવા માટે અન ેનવેસરથી નાણાકીય આયોજન કરવા માટે પણ સીએ મદદરુપ થઈ શકે છે તે વાત વ્યવસાયીઓને સમજમાં આવી રહી છે.