સ્વાગત ઓનલાઇનમાં થયેલી 65 પૈકી ફક્ત પાંચ ફરિયાદોનો જ નિકાલ!
ગાંધીનગર મહાનગરપાલિકાનું રેઢીયાળ તંત્ર
મુખ્યમંત્રી કાર્યાલયમાંથી ફોન આવતા કમિશનરે રવિવારે રજાના દિવસે અધિકારી કર્મચારીઓને દોડાવી ફરિયાદોનો નિકાલ કરવા તાકિદ કરી
ગાંધીનગર મહાનગર પાલિકાનું વિસ્તરણ કરી દેવામાં આવ્યું છે
અને ગાંધીનગર શહેર કરતાં મોટો વિસ્તાર કોર્પોરેશનમાં સમાવી લેવાયો છે. જો કે
ગાંધીનગર મહાનગર પાલિકા પાસે યોગ્ય મહેકમ અને અનુભવ નહીં હોવા છતાં આટલી મોટી
સંખ્યામાં લોકોના પ્રશ્નોના નિરાકરણની જવાબદારી પણ તેના માથે આવી છે ત્યારે ઘણા
વિસ્તારોમાંથી વસાહતીઓની ફરિયાદ સમયસર નહિ ઉકેલાતી હોવાની પણ બુમો પડી રહી છે.
એટલું જ નહીં ચૂંટાયેલા કોર્પોરેટરો પણ ફરિયાદ કરે તેમ છતાં
તેમના પ્રશ્નો ઉકેલવામાં નહીં આવતા હોવાની ફરિયાદો અગાઉ થઈ ચૂકી છે ત્યારે આ વખતે
તો રાજ્યના મુખ્યમંત્રીની સ્વાગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં થયેલી
ફરિયાદોના ઉકેલ માટે પણ કોર્પોરેશનના તંત્રએ કોઇ જ કામ નહીં કર્યું હોવાનું બહાર
આવતા દોડધામ મચી ગઈ છે.
ગાંધીનગર કોર્પોરેશનને લગતી ૬૫ જેટલી ફરિયાદો સ્વાગત ઓનલાઇન
કાર્યક્રમમાં નાગરિકો દ્વારા કરવામાં આવી હતી. જોકે આ ફરિયાદો પૈકી ફક્ત પાંચ
જેટલી ફરિયાદોનો સમયસર નિકાલ કરવામાં આવ્યો હતો. ૬૦ જેટલી ફરિયાદોમાં કોઈ કામ નહીં
કરી પ્રત્યુતર પણ કોર્પોરેશને આપ્યો ન હોવાનું બહાર આવતા મુખ્યમંત્રી કાર્યાલયે પણ
તેની ગંભીર નોંધ લીધી હતી.
જેથી આ મામલે ગાંધીનગર કમિશનરને સૂચના આપવામાં આવતા તેમણે
કોર્પોરેશનના અધિકારી કર્મચારીઓને રજાના દિવસે કચેરીએ તેડાવી લીધા હતા અને સ્વાગત
ઓનલાઈનમાં થયેલી ફરિયાદો પૈકી બાકી રહેલી ફરિયાદોનો ઝડપથી નિકાલ કરી રિપોર્ટ આપવા
માટે તાકીદ કરી હતી.
નોંધવું રહેશે કે ગાંધીનગર મહાનગર પાલિકામાં નાગરિકો દ્વારા
કરવામાં આવતી ફરિયાદોના ઝડપથી નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવવાની જરૃરિયાત હાલના
તબક્કે લાગી રહી છે.