Get The App

હિટ એન્ડ રન: બે જિંદગી હણી એસ.ટી. બસ, ડમ્પર ભાગી છૂટયા

Updated: Jan 23rd, 2022

GS TEAM

Google News
Google News
હિટ એન્ડ રન: બે જિંદગી હણી એસ.ટી. બસ, ડમ્પર ભાગી છૂટયા 1 - image

અમદાવાદમાં ચાર જીવલેણ માર્ગ અકસ્માત

ઉસ્માનપુરામાં બસે સફાઈ કામદારને અને દાસ્તાન સર્કલ પાસે ડમ્પરે મહિલાને કચડી : એસપી રિંગ રોડ અને ઓઢવમાં સ્લીપ થતાં બે મૃત્યુ

અમદાવાદ : અમદાવાદમાં હવે એસ.ટી. બસે હીટ એન્ડ રન અકસ્માત સર્જ્યો છે. ઉસ્માનપુરાથી વાડજ જતા આશ્રમ રોડ ઉપર સફાઈ કામદારને કચડી એસ.ટી. બસ પલાયન થઈ ગઈ હતી. જ્યારે, દાસ્તાન સર્કલ પાસે ડમ્પરે ટુ વ્હીલર પર જતાં દંપતિને કચડતાં પત્નીનું મૃત્યુ નિપજ્યું હતું.

ડમ્પર પણ પલાયન થઈ ગયું હતું. એસપી રીંગ રોડ અને ઓઢવ સોનીની ચાલી પાસે ટુ વ્હીલર સ્લીપ થતાં તેના બે ચાલકના મૃત્યુ નિપજ્યા છે. શહેરમાં વિતેલા 24 કલાકમાં મોત મંડાયું હોય તેમ ચાર જીવલેણ અકસ્માત સર્જાયા હતા.

વેજલપુરમાં રહેતા અને સફાઈ કામદાર તરીકે કામ કરતા અનિલભાઈ ગોપાલભાઈ ચૌહાણ અને વાસણામાં રહેતા તેમના મિત્ર અશ્વિનભાઈ મોહનભાઈ ધરણિયા એક્ટિવા ઉપર પાલડીથી નવા વાડજ નોકરી પર જઈ રહ્યા હતા. 

બપોરે ત્રણ વાગ્યાના અરસામાં ઉસ્માનપુરાથી વાડજ જતા રોડ ઉપર મહીન્દ્રા બેન્કની સામેથી પસાર થતી વખતે બાજુમાંથી એક વાહન પસાર થયું હતું. આ સમયે બીજી બાજુએથી જઈ રહેલી એસ.ટી. બસે અશ્વિનભાઈ ચલાવતા હતા તે એક્ટિવાને ટક્કર મારી હતી.

બસની ટક્કર વાગતાં અનિલભાઈ અને અશ્વિનભાઈ નીચે પટકાયા હતા. અનિલભાઈ થોડા સાઈડમાં પડયા હતા. પરંતુ, અશ્વિનભાઈના માથા ઉપર બસના પાછળના ટાયરમાં આવી ગયું હતું. ચાલક તો બસ હંકારીને જતો રહ્યો હતો. સિવિલ હોસ્પિટલમાં લઈ જવાતા અશ્વિનભાઈને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. ટ્રાફિક બી ડીવિઝન પોલીસે એસટી બસના ચાલક સામે ગુનો નોંધી તપાસ કાર્યવાહી હાથ ધરી છે.

ઓઢવમાં રહેતા 49 વર્ષના વિનુજી ખુમાજી ઠાકોર તેમના પત્ની તારાબહેનની સાથે વતન જાસકા ગામે પ્રસંગમાં ગયા હતા. તા. 19ના દંપતિ એક્ટિવા ઉપર અમદાવાદ પરત ફરી રહ્યું હતું. કોબા સર્કલ થઈ એસ.પી. રીંગ રોડ ઉપર નાના ચિલોડા દહેગામ સર્કલથી આગળ મહાકાળી પેટ્રોલ પમ્પ પાસે બપોરે 4 વાગ્યાના અરસામાં એક ડમ્પર ચાલકે વિનુજીની એક્ટિવાને ટક્કર મારી હતી.

ડમ્પરનું આગળનું વ્હીલ તારાબહેન ઉપર ફરી વળ્યું હતું. સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ નિપજ્યું હતું. વિનુજીને સામાન્ય ઈજા પહોંચી હતી. ટ્રફિક જી ડીવિઝન પોલીસે ડમ્પર ચાલકની શોધખોળ શરૂ કરી છે. બાપુનગરમાં રહેતા વિરેનભાઈ નિલેશકુમાર ત્રિવેદીના મોટાભાઈ મિરલભાઈ ગાંધીનગરની મધુર ડેરીમાં નોકરી કરતા હતા. મિરલભાઈ ત્રિવેદી દરરોજ રાત્રે 1 વાગ્યે ડેરીની જોબ પુરી કરી ઘરે આવી જતા હતા.

તા. 23ના રાતે મિરલભાઈ ઘરે ન પહોંચતા તેમના મોબાઈલ ફોન ઉપર વિરેનભાઈએ ફોન કર્યો હતો. અજાણી વ્યક્તિએ ફોન ઉપાડીને જાણકારી આપી હતી કે, મિરલભાઈનો એસ.પી. રીંગ રોડ ઉપર સીએસડી ડેપો પાસે વળાંકમાં એક્સિડન્ટ થયો છે. વળાંકમાં 40ની સ્પિડે બાઈક ચલાવીને જઈ રહેલા મિરલભાઈ અચાનક જ પડી જતાં તેમને સિવિલમાં મૃત જાહેર કરાયા હતા. 

ઓઢવ સોનીની ચાલીથી રીંગ રોડ તરફ જવાના રોડ ઉપર બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે આઈસર મીની ટ્રકને ઓવરટેક કરવા જતાં બાઈકસવારનું મૃત્યુ નિપજ્યું છે. રાતે આઠ વાગ્યાના અરસામાં સ્પ્લેન્ડર બાઈકનો ચાલક આઈસરને ઓવરટેક કરવા જતાં સ્લીપ થઈ ગયો હતો.  બાઈક સ્લીપ  થતાં ઢસડાઈને ગંભીર ઈજા પામેલા બાઈકસવારનું મૃત્યુ નિપજ્યું હતું.