Get The App

ઉપર આભ-નીચે ધરતી, ગુજરાતમાં 1,44 લાખ લોકો આજેય ઘરવિહોણા

Updated: Jan 23rd, 2022

GS TEAM

Google News
Google News
ઉપર આભ-નીચે ધરતી, ગુજરાતમાં 1,44 લાખ લોકો આજેય ઘરવિહોણા 1 - image

ઘર વિના લોકો ફુટપાથ-ખુલ્લી જમીન પર રહેવા મજબૂર 

હકદાર ગરીબ લોકો જમીન- આવાસ યોજનાના લાભથી વંચિત, ગામડાં કરતાં શહેરોમાં ઘરવિહોણાંની કફોડી દશા 

અમદાવાદ : એક બાજુ, ગુજરાતમાં  ચારેકોર વિકાસની ગુલબાંગો પોકારવામાં આવી રહી છે.તો બીજી બાજુ, વિકસીત રાજ્ય ગુજરાતમાં 1.44 લાખ લોકો આજેય ઘરવિહોણાં છે. ઘર માટે જમીન ન હોવાથી આ ભુમિહીન પરિવારો ફુટપાથ અથવા ખુલ્લી જમીનમાં રહેવા મજબૂર બન્યા છે. ખુદ કેન્દ્ર સરકારે લોકસભામાં આ વાતનો ખુલાસો કર્યો ેછે. 

ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના પૂરજોશમાં ચાલી રહી છે. સરકાર દાવો કરી રહી છે, હજારો લાભાર્થીઓને આવાસ યોજનાનો લાભ મળ્યો છે. આ તરફ, લોકસભામાં ેકેન્દ્ર સરકારે ઘરવિહોણા મુદ્દે એવો ખુલાસો કર્યો છેકે, ગુજરાતમાં કુલ મળીને 1,44,306 લોકો ઘરવિહોણા છે.

ગામડા કરતાં શહેરોમાં ઘરવિહોણા લોકોની સંખ્યા વધુ છે. શહેરોમાં ઘરવિહોણાંને જમીન આપવી રાજ્ય સરકાર માટે કઠિન કામ બન્યુ છે.આ જોતા આવાસ આપવા પ્રધાન્ય અપાઇ રહ્યુ છે. ગુજરાતમાં શહેરોમાં 84,822 લોકો ઘરવિહોણા છે જયારે ગામડાઓમાં ઘરવિહોણા લોકોની સંખ્યા 59,484 છે. 

કેન્દ્રીય સામાજીક અધિકારાતા વિભાગના મતે, ભારતમાં કુલ 17,73,040 ઘરવિહોણા છે. અત્યાર સુધી ભારતમાં 4,46,58 ભુમિવિહોણા લાભાર્થીઓ પૈકી 2,02,719 લાભાર્થીઓને જમીન આપવામાં આવી છે. ગુજરાતમાં પણ 5549 લોકોને જમીન  આપવામાં આવી છે જયારે 2119 લોકોને હજુ સુધી જમીન કે નાણાંકીય સહાય ચૂકવાઇ નથી. 

ગુજરાત સહિત ભારતમાં આવાસ માટે કેટલી માંગ છે તે અંગે સંર્વેક્ષણ પણ હાથ ધરવામાં આવી રહ્યુ છે. જોકે, કેન્દ્રનું કહેવુ છેકે, ઘરવિહોણાં લોકો માટે જમીન સંપાદનએ મહત્વની પ્રક્રિયા છે તે રાજય સરકારની જવાબદારી છે. ઘરવિહોણા અત્યારે તો ફુટપાથ કે ખુલ્લી જમીનમાં રહેવા મજબૂર બન્યા છે. ટૂંકમાં, આજે પણ હજારો-લાખો ગરીબ પરિવારો ઉપર આભ નીચે ધરતીની જેમ દિવસો પસાર કરી રહ્યા છે.