અમદાવાદ,શનિવાર,26
ફેબ્રુ,2022
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા વર્ગ-૧ અને
વર્ગ-૨ના અધિકારીઓ પૈકી મોટાભાગના અધિકારીઓ નિયમ મુજબ તેમની આવક જાહેર કરતા ના
હોવાનો મુદ્દો મ્યુનિ.ની બોર્ડ બેઠકમાં ચર્ચાયો હતો.વર્ષ-૨૦૨૧માં મ્યુનિ.માં ફરજ
બજાવતા વર્ગ-૧ના માત્ર ૬૧ અધિકારીઓએ અને વર્ગ-૨ના ૩૮૪ અધિકારીઓએ તેમની મિલકત જાહેર
કરી હતી.
જમાલપુર વોર્ડના એમ.આઈ.એમ.ના કોર્પોરેટર રફીક શેખે મેયર અને
મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરતા કહ્યુ,નિયમ
મુજબ વર્ગ-૧ અને વર્ગ-૨ના ફરજ બજાવતા તમામ અધિકારીઓએ તેમની મિલકત જાહેર કરવાની હોય
છે.આમ છતાં વર્ષ-૨૦૧૯માં વર્ગ-૧ના ૧૫૮ અને વર્ગ-૨ના ૭૯૬ અધિકારીઓએ તેમની મિલકત
જાહેર કરી હતી.વર્ષ-૨૦૨૦માં વર્ગ-૧ના ૧૬૧ અને વર્ગ-૨ના ૮૧૯ અધિકારીઓએ તેમની મિલકત
જાહેર કરી હતી.જે અધિકારીઓ મિલકત જાહેર કરતા નથી તે તમામની મિલકત જાહેર થાય એવી
કાર્યવાહી થવી જોઈએ અને જે અધિકારીઓ મિલકત જાહેર કરે એનું ક્રોસ વેરિફિકેશન થવુ
જોઈએ તો જ મ્યુનિ.તંત્રમાં ભ્રષ્ટાચારને અંકુશમાં લઈ શકાશે.


