ઈજનેરી-ફાર્મસીમાં સરકારી ખાલી બેઠકોમાં ગુજકેટ વિના પ્રવેશ અપાશે
UGમાં ગુજકેટ,JEE, નીટ વિનાના,પુરક પાસ અને રાજ્ય બહારનાને પ્રવેશઃPGમાં પીજીસેટ વિનાને પ્રવેશ
ગ્રાન્ટેડ-સરકારી ખાલી બેઠકો માટે નિયમોમાં ફેરફાર
Updated: Sep 21st, 2022
અમદાવાદ
ડિગ્રી ઈજનેરી ,ડિગ્રી ડિપ્લોમા ફાર્મસી અને પીજી ઈજનેરી તેમજ પીજી ફાર્મસીમાં પ્રવેશ માટેના નિયમોમાં સરકારે મહત્નો ફેરફાર કરતા આ વર્ષથી બેથીત્રણ ઓનલાઈન કે ત્રીજા ઓફલાઈન રાઉન્ડ બાદ ખાલી પડનારી વેકેન્ટ ક્વોટાની સરકારી-ગ્રાન્ટેડ બેઠકોમાં યુજીમાં ગુજકેટ,જેઈઈ કે નીટ વગરના વિદ્યાર્થીને પીજીમાં સ્ટેટ લેવલની પીજીસેટ પરીક્ષા કે રાષ્ટ્રીય પરીક્ષા પાસ ન હોય તેવા વિદ્યાર્થીઓને પણ પ્રવેશ અપાશે. ગુજરાત સરકારના ટેકનિકલ કોર્સીસમાં પ્રવેશ માટેના અત્યાર સુધીના નિયમો મુજબ ડિગ્રી ઈજનેરી તેમજ ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસી અને એમ.ઈ તથા એમ.ફાર્મમાં પ્રવેશ સમિતિના બે ઓનલાઈન રાઉન્ડ બાદ ખાલી રહેતી વેકેન્ટ ક્વોટાની બેઠકો ખાનગી કોલેજોને પોતાની રીતે ભરવા અપાતી અને ખાનગી કોલેજો વેકેન્ટ ક્વોટામા ગુજકેટ,જેઈઈ કે પીજીસેટ વગરના વિદ્યાર્થીઓને પ્રવેશ આપતી હતી. જ્યારે સરકારી-ગ્રાન્ટેડ કોલેજોની બેઠકો ખાલી રહેતી હોવા છતાં પણ તેમાં ગુજકેટ-જેઈઈ કે નીટ વગરના વિદ્યાર્થીને ઈજનેરી-ફાર્મસીમાં પ્રવેશ અપાતો ન હતો અને એમ.ઈ-એમ.ફાર્મમાં પીજીસેટ- ગેટ કે જીપેટ વગરના વિદ્યાર્થીને પ્રવેશ અપાતો ન હતો.પરંતુ આ વર્ષે રાજ્ય સરકારે ટેકનિકલ કોર્સના પ્રવેશના નિયમોમાં મહત્વનો ફેરફાર કરતુ નોટિફિકેશન કર્યુ છે.આ નવા નોટિફિકેશન મુજબ પ્રવેશ સમિતના કોમન ઓનલાઈન કે ત્રીજા ઓફલાઈન રાઉન્ડ બાદ ખાલી રહેતી વેકેન્ટ ક્વોટાની બેઠકોમાં સરકારી -ગ્રાન્ટેડ કોલેજોમાં ડિગ્રી ઈજનેરીમાં ગુજકેટ-જેઈઈ ન આપી હોય તેવા વિદ્યાર્થીઓ તેમજ ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસીમાં નીટ આપી હોય તેવા વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે.જ્યારે એમ.ઈમાં ગેટ કે પીજીસેટ વિનાના અને એમ.ફાર્મમાં પીજીસેટ કે જીપેટ વિનાના વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે.
જો કે સરકારના નોટિફિકેશન મુજબ પ્રથમ તક મેરિટમાં હોય તેવા વિદ્યાર્થીઓને આપવાની રહેશે ત્યારબાદ જો બેઠકો ખાલી રહે તો મેરિટમાં ન હોય તેવા પરંતુ ધો.૧૨ પાસની નિયમ મુજબની લાયકાત ધરાવતા હોય અને ગુજકેટ-જેઈઈ કે નીટ આપી હોય તેવા રજિસ્ટ્રેશન વગરના વિદ્યાર્થીઓની એપ્લિકેશન મંગાવવાની રહેશે ત્યારબાદ પણ ખાલી રહે તો પુરક પાસ વિદ્યાર્થીઓની અરજી મંગાવવાની રહેશે એ ત્યારબાદ પણ ખાલી રહે તો રાજ્ય બહારના જેઈઈ-ગુજકેટ કે નીટ પરીક્ષા આપેલા વિદ્યાર્થીઓની અરજી મંગાવાવની રહેશે અને તે પછી પણ જો સીટ ખાલી રહે તો ડિપ્લોમા ઈજનેરી કે ડિગ્રી સાયન્સ પાસ વિદ્યાર્થીઓથી બેઠકો ભરવાની રહેશે અને આ તમામ વિદ્યાર્થીઓને તક આપ્યા બાદ પણ જો બેઠકો ખાલી રહે તો ગુજરાત સહિત સમગ્ર દેશમાંથી ધો.૧૨ સાયન્સ પાસ થયેલા અને ગુજકેટ,જેઈઈ કે નીટ ન આપી હોય તેવા વિદ્યાર્થીઓની અરજીઓ મંગાવી સરાકરી-ગ્રાન્ટેડની ખાલી બેઠકો પર પ્રવેશ આપવાનો રહેશે. આ જ રીતે એમ.ઈ-એમ.ફાર્મમાં પણ સરકારી-ગ્રાન્ટેડની ખાલી બેઠકો માટે નિયમો લાગુ પડશે.ત્રીજા ઓનલાઈન રાઉન્ડ બાદ ઓફલાઈન પ્રવેશમાં નવા નોટિફિકેશન મુજબ પ્રક્રિયા થશે.જ્યારે ખાનગી કોલેજો માટે પણ નવા નોટિફિકેશન મુજબની જોગવાઈઓ લાગુ પડશે અને જોગવાઈ મુજબના વિદ્યાર્થીઓને પ્રાથમિક આપ્યા બાદ જ વેકેન્ટ સીટો ગુજકેટ-જેઈઈ-નીટ વગરના વિદ્યાર્થીઓથી ભરી શકાશે.