અમદાવાદમાં રાત્રિ કરફ્યૂનો પ્રારંભ, રસ્તાઓ થયાં સુમસામ, પોલીસનો ચૂસ્તબંદોબસ્ત
અમદાવાદ, તા. 20 નવેમ્બર 2020, શુક્રવાર
તહેવારોની સિઝન બાદ કોરોના સંક્રમણ વધતાં અમદાવાદમાં 57 કલાકનો કરફ્યુનો અમલ રાત્રે નવ વાગ્યાથી થઈ ગયો છે. જે સોમવારે સવારે 6 વાગ્યા સુધી અમલી રહેશે. જોકે સોમવારથી પણ દરરોજ રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી એમ રાત્રી કરફ્યુ પણ જારી રહેશે. અન્ય બીજી કોઈ સૂચના ન મળે ત્યાં સુધી કર્ફ્યુનો આ આદેશ જારી રહેશે.
સમગ્ર શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. નવ વાગતા પહેલા શહેરમાં સન્નાટો છવાઈ ગયો. સમગ્ર અમદાવાદ શહેરમાં વેપાર ધંધા, ઓફિસો બંધ કરીને લોકો પોતાના ઘરે રવાના થઈ ગયા. તો જેઓ બહારગામથી આવી રહ્યા છે તેમનું કારણ જાણીને પણ જવા દેવામાં આવી રહ્યા છે. તો આવશ્યક ચીજવસ્તુઓની ગાડીઓને પણ કર્ફ્યુમાં અવરજવર માટે છૂટછાટ આપવામાં આવી છે.
અમદવાદમાં સોમવારે સવારે છ વાગ્યા સુધી કર્ફ્યૂ અમલી બની ગયો છે. શાહાઆલમ વિસ્તારમાં પણ રસ્તાઓ સૂમસાન જોવા મળ્યા.9 વાગ્યા બાદ પોલીસનો સઘન બંદોબસ્ત જોવા મળ્યો,,શાહઆલમ ચારરસ્તા પર પોલીસે બેરિકેટિંગ કરી વાહનનો રોકવામાં આવ્યાં. બહાર નિકળેલા લોકોને ઘરે પરત મોકલાઈ રહ્યાં છે. જ્યારે સેટેલાઈટ વિસ્તારમાં પણ સઘન બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. શિવરંજની ચાર રસ્તા પર પોલીસનું સઘન ચેકિંગ થઈ રહ્યું છે. 9 વાગ્યાના ટકોરે કર્ફ્યૂ અમલી થતા રસ્તાઓ સુમસાન જોવા મળી રહ્યાં છે.
નોંધનીય છે કે, 57 કલાકના કરફ્યુ દરમિયાન અમદાવાદમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ બંધ રહેશે. આજે રાતથી એસટી સેવા અમદાવાદથી સંપૂર્ણ બંધ રહેશે. અન્ય જિલ્લાઓથી એસટી સેવા અમદાવાદ નહિ આવે. જો કે રેલવે દ્વારા તમામ ટ્રેનો ટાઇમ ટેબલ અનુસાર દોડાવશે. ટ્રેનના અવર-જવરમાં કોઈ ફેરફાર નથી કરાયો. પરંતુ મુસાફરો સ્ટેશને પહોંચ્યા બાદ ઘરે પહોંચવાની મુશ્કેલીમાં મુકાશે. વિમાની સેવા પણ તેના નિયત સમયપત્રક મુજબ આવન-જાવન કરશે.