Get The App

નિકાસ વધારવા આયુર્વેદિક દવા માટે કોડિંગની સિસ્ટમ વિકસાવશે

એચએસએન કોડ મળી જતાં આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતના આયુર્વેદિક પ્રોડક્ટ્સની ઓળખ પાક્કી બનશે

Updated: Aug 1st, 2022

GS TEAM

Google News
Google News
નિકાસ વધારવા આયુર્વેદિક દવા માટે કોડિંગની સિસ્ટમ વિકસાવશે 1 - image


(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,સોમવાર

આયુર્વેદિક દવાઓની નિકાસ વધારવા માટે ભારત સરકારનો આયુષ વિભાગ આયુર્વેદિક દવાઓના વર્ગીકરણ માટે હાર્મોનાઈઝ સિસ્ટમ કોડ (એચ.એસ. કોડ) વિકસાવશે. કસ્ટમ્સ ટેરિફ એક્ટ ૧૯૭૫ની જોગવાઈ હેઠળ ઇન્ડિયન મેડિસિન સિસ્ટમ હેઠળના આયુર્વેદિક પ્રોડક્ટ્સ માટે કોડ વિકસાવશે. ઇન્ટરનેશનલ એચએસએન કોડ સાથે સુસંગત રહે તેવા એચએસએન કોડ વિકસાવશે.

ગુજરાત આયુર્વેદ ઔષધ મેન્યુફેક્ચરિંગ એસોસિયેસનના પ્રમુખ જમન માલવિયાનું કહેવું છે કે સરકારના આ નિર્ણયને કારણે ભારતના આયુર્વેદિક પ્રોડક્ટ્સને આંતરરાષ્ટ્રીય ઓળખ મળશે. તેમ જ તેની નિકાસ કરતી વેળાએ કે તેના માર્કેટિંગ કરવામાં આવતી અડચણો તેનાથી દૂર થઈ શકશે. આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રોડક્ટની ઓળખ પાક્કી બનશે.

આ સંદર્ભમાં કેન્દ્ર સરકારના આયુષ વિભાગે ફાર્માક્સિલ અને કેમેક્સિલની લાઈન પર ૨૦મી એપ્રિલ ૨૦૨૨થી આયુષેક્સિલ લોન્ચ પણ કરી દીધું છે. આયુષેક્સિલ આયુર્વેદિક દવાઓના નિકાસ પર ફોકસ કરશે. કેન્દ્ર સરકારના વાણિજ્ય મંત્રાલયના સહયોગમાં નિકાસ વધઆરવાની કામગીરી કરશે. આ માટે એક ટાસ્કફોર્સની રચના કરી દેવામાં આવી છે. આ ટાસ્કફોર્સ ક્વોલિટી કંટ્રોલની કામગરી પણ કરશે. આ માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ સાથે ચર્ચાવિચારણા પણ ચાલુ કરી દેવામાં આવી છે. તેના પરના ટેક્સના દર પણ નક્કી કરવામાં આવશે.

તેનો બીજો ફાયદો એ થશે કે ભારતમાં અને વિદેશમાં થતાં તેના વેચાણના ચોક્કસ આંકડાઓ મળી શકશે. આયુર્વેદના મોટાભાગના ઉત્પાદનો જડીબુટ્ટીઓમાંથી તૈયાર થાય છે. ઔષધિય ગુણ ધરાવતા છોડવાઓમાંથી બને છે. અત્યારે તેની પાક્કી ઓળખ ઊભી કરવામાં તકલીફ પડી રહી છે.

આયુર્વેદિક પ્રોડક્ટ્સ તૈયાર કરવા માટે કઈ કઈ પદ્ધતિઓને અનુસરવી જોઈએ તે માટેની આચારસંહિતા પણ તૈયાર કરવામાં આવી રહી છે. મેન્યુફેક્ચરર્સ માટે તેનું પાલન કરવું ફરજિયાત બનાવવામાં આવશે. તેમ જ ટ્રેડિંગ કરનારાઓ અને નિકાસ કરનારાઓ માટે પણ નિશ્ચિત સંહિતા તૈયાર કરવામાં આવી રહી છે.

હવે ગુજરાતમાં આયુર્વેદિક કંપનીઓ ઓનલાઈન  પોર્ટલ પર અરજી કરે

ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ કમિશનરની કચેરીએ આયુર્વેદિક મેડિસિનના ઉત્પાદન માટે લાઈસન્સ લેવા ઓનલાઈન પોર્ટલ ચાલુ કર્યું છે. આયુર્વેદની દવાઓ બનાવતી કંપનીઓએ ઓનલાઈન પોર્ટલ પર લાઈસન્સ મેળવવા માટે રજિસ્ટ્રેશન કરાવવા અરજીઓ કરવા માંડી છે.


Tags :