પ્રાકૃતિક કૃષિ સ્વચ્છ-સ્વસ્થ-સમૃદ્ધ રાજ્ય-રાષ્ટ્રના નિર્માણમાં અહેમ ભૂમિકા ભજવશે: મુખ્યમંત્રી
- ખર્ચ ઘટાડી ખેત ઉત્પાદન વધારવા પ્રાકૃતિક ખેતી અપનાવવી જરૂરી: પદ્મશ્રી સુભાષ પાલેકર
- નવી કૃષિ ક્રાંતિના નિર્માણ માટે પ્રાકૃતિક ખેતીના માધ્યમ દ્વારા ગુજરાત દેશને નવો રાહ ચીંધશે: નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ
અમદાવાદ તા. 4 સપ્ટેમ્બર 2019, બુધવાર
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગાંધીનગર ખાતે સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ કાર્યશાળાને ગુજરાત પ્રદેશના કિસાનોની ઉન્નતિ માટેનો અભૂતપૂર્વ નિર્ણય ગણાવ્યો હતો.
તેમણે જણાવ્યું કે, હિમાચલ પ્રદેશના રાજ્યપાલ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન પ્રાકૃતિક કૃષિ સાથે ૫૦૦ કિસાનોને જોડવા પ્રયાસ કર્યો અને જોતજોતામાં ૧૦ હજાર કિસાનો આ કૃષિ સાથે જોડાઇ ગયા. હરિયાણામાં ૨૦૦ એકર જમીન અને ૩૦૦ ગાય સાથે રાસાયણિક ખેતી થતી ત્યારે કૃષિ ખર્ચ દર વધતો ગયો અને ઉત્પાદન ઘટ્યું-ફળદ્રુપતા ઘટી તેથી જૈવિક કૃષિ તરફ વળવાનું નક્કી કર્યું. તેમાં પણ ઉત્પાદન વધ્યું નહીં. ત્યારબાદ સુભાષ પાલેકરજીના સંપર્કમાં આવ્યા બાદ પ્રાકૃતિક ખેતી અપનાવી તેમણે જણાવ્યું હતું કે, અમેરીકન ડૉ. એલ્બર્ટ હાર્વડને વર્ષ ૧૯૩૧માં ભારતમાં આવીને ઓર્ગેનિક-જૈવિક ખેતીનો પ્રચાર કર્યો હતો જે ભારતની મૂળ પદ્ધતિ નથી.
જૈવિક ખેતીમાં એક એકર જમીનમાં ૬૦ કિલો નાઇટ્રોજન જોઇએ. એક એકરમાં ૩૦૦ ક્વિન્ટલ છાણીયું ખાતર જોઇએ. એ માટે ૧૫ જેટલાં પશુધન જોઇએ અથવા ૧૫૦ ક્વિન્ટલ વર્મી કમ્પોષ્ટ જોઇએ. આ બધુ અશક્ય છે. આટલું પશુધન પણ નથી. આટલા છાણિયા ખાતરથી મિથેન-અન્ય ગેસનું પ્રદષણ થાય છે. ઓર્ગેનિક અર્થાત જૈવિક ખેતીમાં ત્રણ વર્ષ સુધી ઉત્પાદન ઘટે છે કૃષિ ખર્ચ વધે છે.
પાંચ વર્ષ સુધી ઓર્ગનિક ખેતી કરી પણ સંતાોષ નથયો. આજે જૈવિક-ઓર્ગેનિકના નામે કેટલાંય ધંધા થાય છે. બધી જ પદ્ધતિમાં ખેડૂતોના ખિસ્સામાંથી પૈસા જાય છે. ખેડૂતોની લૂંટ ચાલતી રહી. ગામના પૈસા ગામમાં, શહેરના પૈસા પણ ગામમાં આવે તેવો રસ્તો જોઇએ. આ રસ્તો સુભાષ પાલેકરે પ્રાકૃતિક કૃષિ દ્વારા આપ્યો છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રાકૃતિક કૃષિનો વ્યાપ-પ્રસાર રાજ્યમાં વધારવાની દિશામાં રાજ્ય સરકાર આયોજનબધ્ધ આગળ વધશે તેવો વિશ્વાસ આપ્યો હતો.
તેમણે આ સંદર્ભમાં કહ્યું કે, ગુજરાતે વિકાસના બહુધા ક્ષેત્રોમાં લીડ લીધી છે. કૃષિ ક્ષેત્રે પણ ડબલ ડિઝીટ ગ્રોથ સાથે અગ્રેસર છે. હવે સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ માટે પ્રકૃતિની સાથે રહીને વિકાસ કરવાની દિશા અપનાવી છે.
મુખ્યમંત્રીએ ગુજરાતમાં ગ્રીન એન્ડ કલીન એનર્જી, જળસંચય દ્વારા ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવાની સિધ્ધિ, ધૂમાડા રહિત યાતાયાત વ્યવસ્થા અને પ્લાસ્ટિકમુકત ગુજરાતને સાકાર કરી હેપીનેસ ઇન્ડેક્ષ વૃધ્ધિમાં આગળ વધવાની નેમ દર્શાવી હતી.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રાકૃતિક કૃષિ કાર્યશાળાને આવકારતાં કહ્યું કે, નવી કૃષિ ક્રાંતિ તરફ રાજ્યના ખેડૂતો આગળ વધી રહ્યા છે અને પ્રાકૃતિક ખેતી તરફ પ્રોત્સાહીત થયા છે તો ચોક્કસ આ ક્ષેત્રે પણ ગુજરાત દેશને રાહ ચીંધશે. આ સરકારે અનેકવિધ પ્રયાસો ખેડૂતોની આવક વધારવા માટે કર્યા છે અને પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા પણ સરકાર ચોક્કસ પ્રયાસ કરશે.
પટેલે ઉમેર્યું કે, પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટે રાજ્યપાલશ્રી દ્વારા જે શરૂઆત કરાઇ છે એને રાજ્ય સરકાર ચોક્કસવેગ આપશે. તેમણે પાલેકરજીની પ્રાકૃતિક ખેતીને આવકારીને અભિનંદન આપતાં કહ્યું કે, ઓગ્રેનિકની જેમ પ્રાકૃતિક ખેતી પણ એક બ્રાન્ડ નેમ બને તે માટે ખેડૂતોએ આગળ વધવું જોઇએ. આ પદ્ધતિથી ખેડૂતો ખેતી કરશેતો ચોક્કસ ખેડૂતોની આવક વધશે.
કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ પ્રાકૃતિક કૃષિ કાર્યશાળાને આવકારતા કહ્યુંકે, આ સેમિનાર ચોક્કસ દિશાસૂચક પુરવાર થશે. તેમણે કહ્યું કે,જેમ અન્ય ખેતી ઉત્પાદનો માટે કેન્દ્રીય સહાય ખેડૂતોને અપાય છે એ જ રીતે પ્રાકૃતિક ખેતી માટે પણ કિસાનોને સહાય આપવા કેન્દ્ર સરકારનું મન કાયમ ખુલ્લું છે. રાજ્યના ખેડૂતો આ પદ્ધતિનો વ્યાપ વધારશે તો ચોક્કસ આવક બમણી થશે.
પદ્મશ્રી વિજેતા અને પ્રાકૃતિક ખેતીના હિમાયતી સુભાષ પાલેકરે જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતીને અપનાવવા માટે રાજ્યનું સમગ્ર વહીવટી તંત્ર કટિબદ્ધ બન્યુ હોય એ આજે પહેલો અવસર છે. આઝાદી પછીની તત્કાલિન સરકારે હરિત ક્રાન્તિને સ્વીકારી તેની પાછળનો ધ્યેય ખાદ્ય ઉત્પાદન ક્ષેત્રે સ્વાવલંબન થવાનો હતો. જો કે કમનશીબે ખાદ્યાન્ન ઉત્પાદન ક્ષેત્રે સ્વાવલંબનનો ધ્યેય કમનશીબે સાકાર નથી થઇ શક્યો.
આપણે પ્રતિવર્ષ લાખો ટન ખાદ્યતેલ આયાત કરવું પડે છે. ભારતની વસતી આજે ૧૩૦ કરોડ છે અને વર્ષ ૨૦૩૦માં આંકડો ૧૫૦ કરોડ ઉપર પહોંચશે. અત્યારે ૨૬ કરોડ મે.ટન ખાદ્યાન્ન પેદા કરવું પડે છે તે વધારીને ૪૦ કરોડ મે.ટન કરવું પડશે. દેશમાં ૩૫ કરોડ એકર જમીન છે ત્યારે રાસાયણીક ખાતરથી ઉત્પાદન વધારી શકવું અશક્ય છે ત્યારે સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી અપનાવવી જ પડશે.
પાલેકરે વધુમાં જણાવ્યું હતું કે, આજે પરંપરાગત ખેતી, રાસાયણીક, સજીવ, વૈદિક યોગિક અને પ્રાકૃતિક ખેતીના વિકલ્પ છે. તેમાં હવે સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી એક સક્ષમ વિકલ્પ ઉભો થયો છે.
આજે દેશમાં ૫૦ લાખ ખેડૂતો સુભાષ પાલેકર ખેતી કરે છે. આ પદ્ધતિમાં ખાતરની જરા પણ જરૂરત નથી. ખેતરમાં ૧ એકરમાં ૧૮ થી ૨૦ ગાડા ભરીને રાસાયણિક ખાતરની જરૂર પડે છે અને તેના માટે ૧૦ ગાયો પાળવી પડે. દેશમાં આ માટે ૩૫ કરોડ દેશી ગાયોની જરૂર પડે તેની સામે આપણી પાસે માત્ર આઠ કરોડ દેશી ગાયો છે. આ ગણિત જોતા હવે આપણે સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી અપનાવવી પડશે.
આ પદ્ધતિમાં ગાયનું છાણ-મુત્ર તથા અન્ય વસ્તુઓથી બનતુ જીવામૃતનો ઉપયોગ થાય છે. ખેડૂતો એક એકરમાં માત્ર ૧૦ ટકા પાણી હોય તો પણ પ્રતિવર્ષ રૂપિયા ૩ થી ૬ લાખ કમાઇ શકે તેવી આકર્ષક પદ્ધતિ છે.
પાલેકરે વધુમાં જણાવ્યું હતું કે, એક દેશી ગાય હોયતો ૩૦ એકર વિસ્તારમાં ખેતી થઇ શકે છે. ૧ દેશી ગાય એક દિવસમાં ૧૧ કિલો છાણ આપે છે જે એક એકર માટે પુરતુ છે.
નીતિ આયોગના ઉપાધ્યક્ષ ડૉ.રાજીવ કુમારે પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવતા કહ્યું હતું કે, ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્યને સાકાર કરવા માટે પ્રાકૃતિક ખેતી ખૂબ જરૂરી છે. સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિના માધ્યમથી જમીનની ફળદ્રુપતા-ક્ષમતામાં વધારો થાય છે, તેના પરિણામે કૃષિ ઉત્પાદનમાં પણ વધારો થાય છે. પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન ખર્ચ ઘટે છે.