For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મ્યુનિ. દ્વારા બોપલમાં 5.45 કરોડના ખર્ચે ઈકોલોજી પાર્કનું નિર્માણ થશે

- નવા ભળેલા વિસ્તાર અંગે રિક્રીએશનલ કમિટીમાં આવેલી દરખાસ્ત

- કચરાની ખાલી કરાયેલી સાઇટની વિશાળ જગ્યામાં કુદરતનું સરંક્ષણ થાય તેવા જુદી જુદી જાતના વૃક્ષોને ઉછેરાશ

Updated: Oct 25th, 2020

મ્યુનિ. દ્વારા બોપલમાં 5.45 કરોડના ખર્ચે ઈકોલોજી પાર્કનું નિર્માણ થશે

અમદાવાદ, તા. 25 ઓક્ટોબર, 2020, રવિવાર

અમદાવાદની હદમાં નવા ભળેલાં બોપલમાં રૂા. 5.45 કરોડથી વધુના ખર્ચે ઈકોલોજી પાર્ક બનાવવાનો મ્યુનિ. કોર્પોરેશન દ્વારા નિર્ણય લેવાયો છે. આ અંગેની દરખાસ્ત રિક્રીએશનલ કલ્ચરલ એન્ડ હેરિટેજ કમિટીમાં આવી છે. જે અંગે આવતીકાલે મળનારી કમિટીની બેઠકમાં નિર્ણય લેવાશે તેમ જણાય છે. કચરાની ખાલી કરાયેલી વિશાળ જમીનમાં આ ગાર્ડન કરવાનો નિર્ણય લેવાયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, બોપલ ગામથી આગળ ઈસરોની ઓફિસની બાજુના ખુલ્લા પ્લોટમાં વર્ષોથી મોટાપ્રમાણમાં કચરો ઠલવાતો હતો. આ લેન્ડફીલ સાઇટ કચરાથી પૂરેપૂરી ભરાઇ ગઇ હતી અને ચોમાસામાં ઢગલાંનો કેટલોક કચરો રોડ પર ઢળી પડતા લોકોનું આવવા-જવાનું બંધથઇ જતું હતું. તિવ્ર દુર્ગંધ અને મચ્છરનો ત્રાસ આસપાસના રહીશોને અને ઓફિસો ધરાવનારાઓને ભોગવવો પડતો હતો.

પિરાણાંના કચરાના ડુંગરની બાયોમાઇનીંગની કામગીરી ચાલી રહી છે, તેના કેટલાં ટ્રોમિલ મશીનો બોપલ મૂુકીને કચરાની સાઇટને અત્યંત ઝડપથી સાફ કરી નાખી હતી. આ ખાલી પડેલાં પ્લોટમાં ઈકોલોજી ગાર્ડન બનાવવાનો નિર્ણય સાઇટ ખાલી થતી હતી, તે સમયે જ કમિશનર મુકેશ કુમારે જાહેર કર્યો હતો. આ અંગે બહાર પડેલાં ટેન્ડરમાં અંદાજ કરતાં 22.50 ટકા નીચા ભાવનું ટેન્ડર આવ્યું છે.

આ અંગે ગાર્ડન ખાતાના ડાયરેક્ટરને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, આ ઈકોલોજી પાર્કમાં કુદરતનું સરંક્ષણ થાય તેવા વિવિધ પ્રકારના વૃક્ષો ઉછેરવામાં આવશે. લેન્ડ સ્ક્રેપીગ પણ કરાશે. ગાર્ડનનું આયોજન એવું હશે તે તેમાં ઓછામાં ઓછું પાણી જોઇએ અને મેન્ટેનન્સ - સારસંભાળની બહુ જરૂર ના પડે. આ ગાર્ડનમાં એવું વાતાવરણ કુદરતી રીતે ઊભું કરાશે જે માણસ ઉપરાંત પશુ-પક્ષીઓને અનુકૂળ આવે. વૃક્ષો એવા હશે જ્યાં પક્ષીઓ મહત્તમ માળાઓ બાંધે.

આ ઉપરાંત કમિટીના એજન્ડામાં લોકડાઉન દરમ્યાન ઝૂની ઘટેલી આવક, ગાર્ડન ખાતા માટે ટ્રેકટર-ટ્રોલી, ટેમ્પો ભાડે રાખવા, જુદા જુદા ગાર્ડનની જાળવણી વગેરેની દરખાસ્તો આવી છે. આશ્ચર્યજનક રીતે તમામ ટેન્ડરો 23થી લઇને 28 ટકા જેટલાં નીચા આવ્યા છે. આનો અર્થએ થયો કે બગીચા ખાતાએ નક્કી કરેલ જે-તે કામગીરીનો અંદાજ જ યોગ્ય નથી. એન્જિનિયરીંગ ખાતા જેવી જ હાલત તમામ ખાતાઓમાં ઊભી થઇ ગઇ છે, તેનો આ નમૂનો છે.

Gujarat