Gujarat

મચ્છરજન્ય રોગને નાથવામાં મ્યુનિ.તંત્ર નિષ્ફળ,અમદાવાદમાં છ વર્ષમાં મેલેરિયાના ૩૦ હજાર,ડેન્ગ્યૂના ૧૫ હજારથી પણ વધુ કેસ નોંધાયા

By GS Team
2 Mar 20222 mins read
This article was originally published on 2 Mar 2022
મચ્છરજન્ય રોગને નાથવામાં મ્યુનિ.તંત્ર નિષ્ફળ,અમદાવાદમાં છ વર્ષમાં મેલેરિયાના ૩૦ હજાર,ડેન્ગ્યૂના  ૧૫ હજારથી પણ વધુ કેસ નોંધાયા

અમદાવાદ,મંગળવાર,1 માર્ચ,2022

અમદાવાદમાં છ વર્ષમાં મેલેરિયાના ૩૦ હજારથી વધુ અને ડેન્ગ્યૂના ૧૫ હજારથી પણ વધુ કેસ નોંધાયા છે.મચ્છરજન્ય રોગચાળાને કાબૂમાં લેવા મ્યુનિ.ના હેલ્થ-મેલેરિયા વિભાગની કામગીરી માત્ર નામ પુરતી થતી હોય એમ જણાય છે.વર્ષ-૨૦૨૧માં ડેન્ગ્યૂના ૩૧૦૪, ચિકનગુનિયાના ૧૭૫૪ અને મેલેરિયાના ૯૮૭ કેસ નોંધાવા પામ્યા હતા.

સ્વચ્છ અમદાવાદ-સ્વસ્થ અમદાવાદના સ્લોગન સાથે મંજુર કરાતા મ્યુનિ.ના બજેટમાં દર વર્ષે ઘણી મોટી રકમ હેલ્થ વિભાગ માટે ફાળવવામાં આવતી હોય છે.આ ઉપરાંત મેલેરિયાને દેશવટો આપવાની નેમ સાથે વખતોવખત કેન્દ્ર અને રાજયના આરોગ્ય મંત્રાલય તરફથી પણ મ્યુનિ.ને વિવિધ હેતુલક્ષી આરોગ્ય વિષયક કામગીરી માટે ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે.કોંગ્રેસ પક્ષના ઉપનેતા નિરવબક્ષીએ મ્યુનિ.બજેટ બેઠકમાં મચ્છરજન્ય રોગ સંબંધી માંગેલી માહિતીમાં હેલ્થ-મેલેરિયા વિભાગની નિષ્ફળ રહેલી ઝૂંબેશ છતી થવા પામી હતી.

વર્ષ-૨૦૧૬થી ૨૦૨૧ સુધીના છ વર્ષના સમય દરમ્યાન મ્યુનિ.હદમાં આવેલી સરકારી અને ખાનગી હોસ્પિટલમાં મેલેરિયાના કુલ મળીને ૩૦,૯૨૧ કેસ નોંધાવા પામ્યા હતા.આ સમયમાં ડેન્ગ્યૂના ૧૫૧૪૯ કેસ નોંધાવા પામ્યા હતા.ફેલ્સીપેરમના ૪૩૮૪ તથા ચિકનગુનિયાના ૩૭૫૭ કેસ નોંધાવા પામ્યા હતા.વર્ષ-૨૦૨૧માં ડેન્ગ્યૂના ૩૧૦૪ કેસ અને બીજા નંબરે ચિકનગુનિયાના ૧૭૫૪ કેસ નોંધાયા હતા.ગત વર્ષમાં મેલેરિયાના ૯૮૭ અને ફેલ્સીપેરમના ૧૩૮ કેસ નોંધાયા હતા.મ્યુનિ.દ્વારા દર વર્ષે શહેરના વિવિધ વિસ્તારમાં મચ્છરજન્ય રોગને કાબૂમાં લેવા ફોગીંગ કરવા ઉપરાંત દવાનો છંટકાવ કરવા પાછળ લાખો રુપિયાની રકમ ખર્ચ કરવામાં આવે છે.શહેરના વિવિધ વિસ્તારમાં બાંધકામ સાઈટ ઉપરાંત મેટ્રોની કામગીરી ચાલતી હોય એવા સ્થળ તથા વિવિધ મોલમાં મચ્છરના ઉપદ્રવ અને મચ્છરના પોરા શોધવાની કામગીરી છેલ્લા ઘણાં સમયથી સ્થગિત જ કરી દેવામાં આવી હોય એમ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાની વિગત સાથે આ પ્રકારની કામગીરીની વિગત પણ હેલ્થ વિભાગ આપવાનુ ટાળી રહ્યુ છે.