Get The App

એમ.એસ.યુનિ.ની સેનેટની ચૂંટણી સરકારની લીલી ઝંડી બાદ જ યોજાશેઃ

Updated: Nov 28th, 2021

GS TEAM

Google News
Google News
એમ.એસ.યુનિ.ની સેનેટની  ચૂંટણી સરકારની લીલી ઝંડી બાદ જ યોજાશેઃ 1 - image

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીનુ કોકડુ ગૂંચવાયુ છે.કારણકે યુનિવર્સિટી સત્તાધીશોએ હવે જ્યાં સુધી સરકારની સૂચના ના મળે ત્યાં સુધી ફોર્મ ભરવા સિવાયની બીજી કોઈ કાર્યવાહી કરવાનો ઈનકાર કરી દીધો છે.

યુનિવર્સિટી રજિસ્ટ્રાર ડો.ચૂડાસમાએ એક વાતચીતમાં કહ્યુ હતુ કે, સરકારે અગાઉ પરિપત્ર મોકલીને સૂચના આપી હતી કે, યુનિવર્સિટીની સેનેટ અને સિન્ડિકેટની ચૂંટણી યોજતા પહેલા પણ સરકારનુ માર્ગદર્શન મેળવવુ.જેના પગલે અમે ગયા સપ્તાહે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગને પત્ર લખીને માર્ગદર્શન માંગ્યુ છે.ત્યાં સુધી સેનેટની તમામ કેટેગરીની બેઠકો માટે માત્ર ફોર્મ ભરવાની કાર્યવાહી જ ચાલુ રહેશે.એ પછી ઉમેદવારીપત્રોની ચકાસણી, ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની કાર્યવાહી કરવા માટે ચૂંટણી યોજવા માટે સરકારના માર્ગદર્શનની રાહ જોવામાં આવશે.સરકાર દ્વારા આગળ જે સૂચના અપાશે તે પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે.

તેમણે કહ્યુ હતુ કે, સરકારને અમે યુનિવર્સિટી સેનેટની ચૂંટણી, તેના નિયમો તેમજ ચૂંટણીના ટાઈમ ટેબલ સહિતની તમામ વિગતો મોકલી આપી છે અને હવે સરકારના આગળની સૂચનાની રાહ જોવાઈ રહી છે.સરકારને ગયા સપ્તાહે જ અમે પત્ર લખ્યો હતો.જેનો હજી સુધી જવાબ મળ્યો નથી.

ઉલ્લેખનીય છે કે, સેનેટની રજિસ્ટર્ડ ગ્રેજ્યુએટ કેટેગરીની ૧૪ બેઠકો માટે ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ ૨૭ નવેમ્બર હતી.એ પછી આજે ઉમેદવારીપત્રોની ચકાસણી હાથ ધરાવાની હતી.પરંતુ યુનિવર્સિટી સત્તાધીશોએ આ કાર્યવાહી આજે હાથ નહીં ધરતા ઉમેદવારો પણ મૂંઝવણમાં મુકાયા છે.આ પહેલા સંકલન સમિતિ જૂથના સભ્યો તથા એબીવીપી દ્વારા ભરતી વિવાદના પગલે સેનેટની ચૂંટણી પાછી ઠેલવાની માંગ થઈ ચુકી છે ત્યારે યુનિવર્સિટીએ પણ રહી-રહીને સરકારનુ માર્ગદર્શન માંગતા ચૂંટણીને લઈને અનિશ્ચિતતાની સ્થિતિ સર્જાઈ છે. સરકારની સૂચના ના આવે ત્યાં સ ુધી એમ.એસ.યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીની કાર્યવાહી અટકાવી દેવાના યુનિવર્સિટી સત્તાધીશોના નિર્ણય સામે ઉમેદવારોમાં કચવાટ પણ જોવા મળી રહ્યો છે.

સેનેટની ચૂંટણી  માટે સરકારનો અભિપ્રાય લેવાની જરુર જ નથી  

ટેકનોલોજી ફેકલ્ટીના સેનેટ સભ્યનુ કહેવુ હતુ કે, યુનવર્સિટીની સેનેટની ચૂંટણી બંધારણીય  પ્રક્રિયા છે અને યુનિવર્સિટીની સ્થાપના થઈ ત્યારથી ચાલતી આવે છે.આ માટે સરકારની સૂચના કે માર્ગદર્શનની જરુર પણ હોતી નથી.જુલાઈ મહિનામાં યુનિવર્સિટીએ નોટિફિકેશન બહાર પાડયુ હતુ અને એ પછી આગળની કાર્યવાહી કરી હતી.હવે જ્યારે ફોર્મ ભરવાની કાર્યવાહી પૂરી થવા આવી છે ત્યારે જ સત્તાધીશોએ જાહેર કર્યુ છે કે, સરકાર લીલી ઝંડી નહીં આપે ત્યાં સુધી ફોર્મની ચકાસણી નહીં થાય.સત્તાધીશોના  આ પ્રકારના નિર્ણય સામે રજૂઆત કરવામાં આવશે અને વિરોધ પણ કરવામાં આવશે.