વડોદરાઃ અધ્યાપક તરીકે બઢતીમાં અન્યાય થયો હોવાના આક્ષેપ સાથે એમ.એસ.યુનિવર્સિટીની મેનેજમેન્ટ ફેકલ્ટીના મહિલા અધ્યાપક સુનિતા શર્માએ હાઈકોર્ટમાં ગુજરાત સરકાર અને યુનિવર્સિટી સત્તાધીશો સામે પિટિશન કરી છે.જેના સંદર્ભમાં હાઈકોર્ટે યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પ્રો.પરિમલ વ્યાસ, યુનિવર્સિટી સત્તાધીશો અને ગુજરાત સરકારને નોટિસ ફટકારીને ૮ ડિસેમ્બરે હાજર રહેવા માટે હુકમ કર્યો છે.
ડો.શર્માએ પોતાની ૨૦ ઓક્ટોબરે હાઈકોર્ટ સમક્ષ કરેલી પિટિશનમાં આક્ષેપ કર્યો છે કે, હું ૧૯૯૫થી એસોસિએટ પ્રોફેસર તરીકે ફરજ બજાવુ છું. મારો એપીઆઈ(એકેડમિક પરફોર્મન્સ ઈન્ડેક્સ )૪૦૦થી વધારે છે.૩૦ થી વધારે પેપર પ્રેઝન્ટ કર્યા છે. બે પુસ્તકો લખ્યા છે અને શિક્ષણની કામગીરી માટે સંખ્યાબંધ એવોર્ડ મેળવ્યા છે છતા સત્તાધીશો કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમ હેઠળ પ્રોફસેરના ઈન્ટરવ્યૂ માટે બોલાવવાનુ ટાળતા રહ્યા છે.
તેમનુ કહેવુ છે કે, ૨૦૧૯માં મેં ઓપન કેટેગરીમાં પણ પ્રોફેસરની પોસ્ટ માટે અરજી કરી હતી .યુજીસીના નિયમ પ્રમાણે ઈન્ટરવ્યૂ માટે હું લાયક હતી.આમ છતા આશ્ચર્યજનક રીતે ઈન્ટરવ્યૂ માટે મને લાયક જ ગણવામાં આવી નથી.


