Get The App

અજાણ્યા વાહનની અડફેટે રિક્ષામાં સવાર માતા અને પુત્રીના મોત

Updated: Nov 8th, 2024

GS TEAM

Google News
Google News
અજાણ્યા વાહનની અડફેટે રિક્ષામાં સવાર માતા અને પુત્રીના મોત 1 - image

ઝાલોદ તાલુકાના પેથાપુર ગામ પાસે

પરિવાર રિક્ષામાં જતો હતો ત્યારે અકસ્માત, પતિ અને સાળાને ઇજા થતાં દવાખાને સારવાર માટે ખસેડાયા

દાહોદ: દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના પેથાપુર ગામેથી પસાર થતાં હાઈવે ઉપર  અજાણ્યા  ગાડીના ચાલકે ઓટો રિક્ષામાં સવાર એક પરિવારને અડફેટમાં લેતાં ઓટો રિક્ષામાં સવાર દંપતી પૈકી માસૂમ પુત્રી અને પત્નીનું મોત નીપજ્યુ હતુ.જ્યારે પતિ તથા સાળાને ઈજા પહોંચતાં સારવાર માટે દવાખાને લઈ ગયા હતાં. 

ગત તા.૬ નવેમ્બરના રોજ ઝાલોદના બીલવાણી ગામે સરપંચ ફળિયામાં રહેતાં અશ્વિનભાઈ વિક્રમભાઈ ભુરીયા તથા તેમની પુત્રી અનન્યા, પત્ની વર્ષાબેન અને પોતાના સાળા પ્રિતેશભાઈને સાથે લઈ  રીક્ષામાં તમામ સવાર થઈ રાત્રીના પોણા ત્રણેક વાગ્યે  પેથાપુર ગામેથી પસાર થતાં હાઈવે  ઉપરથી પસાર થઈ રહ્યાં હતાં.તેની સામેથી પુરઝડપે હંકારી લઈ આવતાં એક અજાણ્યા ફોર વ્હીલર ગાડીના ચાલકે અશ્વિનભાઈની  રીક્ષાને અડફેટમાં લઈ  ટક્કર મારતાં ઓટો રિક્ષામાં બેઠેલી તમામ વ્યક્તિઓ ઓટો રીક્ષામાંથી ફંગોળાઈ જમીન પર પટકાયાં હતાં.જેને પગલે અશ્વિનભાઈની પુત્રી અનન્યાને શરીરે ગંભીર ઈજાથી અનન્યાનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે દોડી આવેલ આસપાસના લોકોએ ઈજાગ્રસ્ત અશ્વિનભાઈ, તેમની પત્ની વર્ષાબેન અને સાળા પ્રિતેશભાઈને નજીકના દવાખાને સારવાર માટે લઈ ગયા હતાં જ્યાં સારવાર દરમ્યાન અશ્વિનભાઈની પત્ની વર્ષાબેનનું મોત નીપજ્યું હતું. આ સંબંધે ઈજાગ્રસ્ત અશ્વિનભાઈ વિક્રમભાઈ ભુરીયાએ ચાકલીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.