વડોદરામાં ડોક્ટરેટની પદવી લેનાર મહિલા ધારાસભ્ય મનિષાબેન વકીલની અજ્ઞાનતા: કહાર સમાજને ખારવા સમાજ દર્શાવ્યો
વડોદરા,તા.17 નવેમ્બર 2022,ગુરૂવાર
વડોદરા શહેર કહાર સમાજનું સંમેલન મળ્યું હતું જેમાં સાંસદ અને મહિલા ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ મહિલા ધારાસભ્ય મનીષાબેન વકીલે સોશિયલ મીડિયા પર સંમેલનના ફોટોગ્રાફ્સ મૂકી કહાર સમાજને બદલે ખારવા સમાજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો લાભ મળ્યો તે પ્રમાણેનું લખાણ લખવામાં આવતા ડોક્ટરની પદવી મેળવનાર મહિલા ધારાસભ્યની અજ્ઞાનતાનું પ્રદર્શન થતા ભાજપના કાર્યકર્તાઓમાં ચર્ચાનો વિષય બન્યો છે.
વડોદરા શહેર વાડી વિધાનસભાની બેઠકના મહિલા ધારાસભ્ય મનિષાબેન વકીલ અવારનવાર વિવાદમાં આવતા રહે છે તાજેતરમાં વડોદરાના નંદકુમાર સોની નામના વ્યક્તિએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો તે કિસ્સામાં ચિઠ્ઠીમાં જે વ્યક્તિઓ નાણાકીય લેવડ દેવળમાં ત્રાસ આપતા હતા તે નામોમાં મહિલા ધારાસભ્ય મનીષાબેન વકીલ ના માનીતા અને શિક્ષણ સમિતિના સભ્ય રણજીત રાજપુત નું નામ આવતા પોલીસે તેમની અટકાયત કરી પૂછપરછ કરી હતી.
એ જ રીતે આજે મનીષાબેન વકીલે તેમના ટ્વીટર, ફેસબુક એકાઉન્ટ પર કહાર સમાજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા તે અંગેની ફોટોગ્રાફ સાથેની પોસ્ટ મૂકી હતી અને વડોદરાના સાંસદ રંજનબેન સાથે ઉપસ્થિત રહેવાનો લાભ મળ્યો તે પ્રમાણેનું લખાણ લખ્યું હતું પરંતુ તેમાં કહાર સમાજના બદલે ખારવા સમાજનું સંમેલન તેવો ઉલ્લેખ કરતા તેઓ હાસ્યસ્પદ બન્યા હતા.
પછાત જ્ઞાતિના શિક્ષિત એવા અને તાજેતરમાં જ પીએચડીની ડિગ્રી મેળવી ડોક્ટરની પદવી મેળવ્યા છતાં કહાર અને ખારવા વચ્ચેની ભેદરેખાની જાણકારી નથી જેથી તેમની અજ્ઞાનતા પ્રદર્શિત થઈ હતી.