Get The App

ખેડા-આણંદ જિલ્લામાં બજારો બંધ રહ્યાં

- દવાઓના ઓનલાઈન વેપારના કારણે નુકસાનના વિરોધમાં

- મેડિકલ સ્ટોર્સના સંચાલકોનો સજ્જડ બંધ

Updated: Sep 29th, 2018

GS TEAM


Google News
Google News

- કલેક્ટર, સંસદસભ્યો અને ધારાસભ્યોને આવેદનપત્રો પાઠવ્યાં


ખેડા-આણંદ જિલ્લામાં  બજારો બંધ રહ્યાં 1 - imageનડિયાદ,આણંદ, તા.૨૮ સપ્ટેમ્બર 2018, શુક્રવાર

નડિયાદમાં આજે લઘુઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓએ રાષ્ટ્રીયકક્ષાએ જાહેર કરાયેલા બંધના એલાનના સમર્થનમાં દિવસભર બંધ પાળ્યું હતુ. ખ.ઘ.ૈં.ના વિરોધમાં આજે નડિયાદના તમામ બજારો સંપૂર્ણ પણે બંધ રહ્યાં હતા. આ બાદ નડિયાદ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના આગેવાનો વેપારીઓ સાથે જિલ્લા કલેક્ટર પાસે પહોંચ્યા હતા, અને આવેદનપત્ર પાઠવી પોતાની રજૂઆત કરી હતી. ઓનલાઈન દવાના વેપાર અંગે મેડીકલ સ્ટોરના સંચાલકોને આર્થિક નુકસાન સહન કરવુ પડતુ હોય તે અંગે ધી ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમીસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસીએશન દ્વારા આજરોજ દેશવ્યાપી બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેમાં આણંદ જિલ્લાના મોટાભાગના તમામ મેડીકલ સ્ટોરના સંચાલકો સમર્થન આપતા પોતાના વેપાર-ધંધાથી અળગા રહી વિરોધ નોંધાવ્યો હતો. જેને લઈને આરોગ્ય સેવાઓ પ્રભાવિત થઈ હતી. સાથે સાથે જિલ્લાના વિવિધ તાલુકા મથકો ખાતે વેપારીઓ દ્વારા તંત્રના અધિકારીઓને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

આજે જિલ્લા કલેક્ટર અને સ્થાનિક ધારાસભ્યો અને સાંસદસભ્યને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે દેશના લાખો કરોડો લોકો નાના વેપાર અને લઘુ ઉદ્યોગો દ્વારા પોતે અને અનેક કરોડો લોકોને રોજગારી આપી રહી છે. ત્યારે F.D.Iને મંજુરી આપી સરકાર ફરીથી વિદેશી લોકોને આ વહીવટ સોંપી દેશની પ્રજાને ગુલામી તરફ લઈ જવાનું પગલું તાત્કાલિક ધોરણે રદ્દ કરે તે જરૂરી બન્યું છે. નડિયાદ સહિત ખેડા જિલ્લામાં લઘુઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓએ આજે સરકારના આ પગલાં સામે સખત વિરોધ નોંધાવ્યો છે. તેમણે આવેદનપત્રમાં ઉલ્લેખ કરતાં જણાવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની જાહેર સભાઓમાં અને ચુંટણી ઢંઢેરામાં  F.D.Iનો વિરોધ કરતાં હતા. 


જેથી તેમને તેની યાદ અપાવી  F.D.I.ની અમલવારી તાત્કાલિક ધોરણે રદ્દ કરવાની માંગણી કરવામાં આવી છે. નડિયાદ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈનડસ્ટ્રીઝ દ્વારા જણાવાયું છે કે રાષ્ટ્ર તથા વેપાર ઉદ્યોગનાં વિકાસ માટે સરકારને અપીલ કે ફ્લીપકાર્ટ, વોલ માર્ટ જોડાણને તાત્કાલિક અસરથી રદ્દ કરવું અને દેશમાં ઈ-કોમર્સ અને રિટેલ ટ્રેડમાં  F.D.I.ને મંજૂરી ન આપવી. સિંગલ બ્રાન્ડમાં ૧૦૦ ટકા  F.D.I.ની પરવાનગી પાછી ખેંચી લેવી, તેમજ ઈ-કોમર્સ માટે એક મજબૂત અને પારદર્શક નીતિ જાહેર કરવી. આ ઉપરાંત જી.એસ.ટી.ના ફક્ત બે ટેક્સ સ્લેબ નક્કી કરવા તેમજ નાણાંકીય દંડ રૂ. ૧૦,૦૦૦થી વધુ ન હોવો જોઈએ. તેમજ જેલની જોગવાઈ દુર કરી અને આઈ.ટી.સી.-૪ ફોર્મ ભરવાની ૫ કરોડ સુધીની મુક્તિ આપવી જોઈએ.

ફૂડ એન્ડ સ્ટાન્ડર્ડ સેફ્ટી એક્ટની સમીક્ષા કરવી જોઈએ. અને જરૂરી સુધારા કરી ૧૦,૦૦૦થી વધુ દંડ ન હોય તેનું ધ્યાન રાખવું જોઈએ. આ ઉપરાંત અંડર સેક્શન ૪૧૧ અને ૪૧૨માં ટ્રેડર્સની ધરપકડ કરવાની જોગવાઈ છે તે પ્રોવિઝનને કાઢી નાખી તેમા જરૂરી ફેરફાર કરવા જોઈએ. વેપારીઓ ઉપર ડેબિટ અને ક્રેડિટ કાર્ડના ઉપયોગ પર બેંક ચાર્જિસ ઈલેક્ટ્રોનીક ચૂકવણીઓ લાદવામાં આવે નહી અને સરકારી બેંકો દ્વારા સીધી સબસીડી હોવી જોઈએ. તેમજ રિટેલ વેપાર માટે રાષ્ટ્રીટ વેપાર નીતિ જાહેર કરવાની માંગણી સાથે આજે જિલ્લાના વેપારીઓ દેશમાં જાહેર કરવામાં આવેલા બંધના એલાનના સમર્થનમાં આગળ આવ્યા હતા.

નડિયાદમાં સંતરામ ગંજ બજાર વેપારી એસોસિયેશન, નડિયાદ વેપારી મહાજન, ઓઈલ મરચન્ટ એસોસિયેશન, નડિયાદ ટી મરચન્ટ, એસોસિએશન, નડિયાદ દવા બજાર એસોસિયેશન, જી.આઈ.ડી.સી એસોસીયેશન, ડુમરાલ બજાર વેપારી એસોસીયેશન, ઈલેક્ટ્રોનીક ઈન્સ્ટ્રુમેન્ટ એસોસિયેશન સહિત સલુણ બજાર વેપારી એસોસીયેશન, અમદાવાદી બજાર વેપારી એસોસીયેશન અને સાંથ બજાર વેપારી એસોસીયેશન, કાપડ બજાર, કંસારા બજાર, એફ.એમ.સી.જી અને છત્રી બજાર તેમજ હાર્ડવેર અને ઓટોમોબાઈલ એસોસીયેશન બંધના એલાનમાં જોડાયા હતા. આ ઉપરાંત ખેડા જિલ્લાના તાલુકાઓ પૈકી ખેડા, માતર, ઠાસરા, મહેમદાવાદ, મહુધા, કઠલાલ, કપડવંજ, ગળતેશ્વર અને વસો તાલુકાના વેપારીઓ પણ બંધના એલાનમાં જોડાઈ F.D.I.નો વિરોધ નોંધાવ્યો હતો.

જે સંદર્ભે દરેક તાલુકા મથકે આવેદનપત્ર પાઠવી મામલતદાર અને નડિયાદમાં જિલ્લા સાંસદને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. તેમજ તાત્કાલિક ધોરણે આ મુદ્દાનું નિરાકરણ લાવવાની માંગણી કરી હતી.

કેન્દ્ર સરકાર દ્વારા ઓનલાઈન ફાર્મસીની કામગીરીની અમલવારી સામે સમગ્ર ગુજરાત રાજ્ય સહિત દેશભરમાં કેમીસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસીએશન દ્વારા આજરોજ દેશવ્યાપી હડતાલનું એલાન આપવામાં આવ્યું હતું. 

એસોસીએશન દ્વારા આપવામાં આવેલ દેશવ્યાપી બંધમાં આણંદ શહેરના ૨૦૦ મળી જિલ્લાના કુલ લગભગ ૩૭૦ જેટલા મેડીકલ સ્ટોરના સંચાલકો જોડાયા હતા. જિલ્લામાં આવેલ મોટાભાની તમામ મેડીકલની દુકાનો બંધ રહેતા આરોગ્ય સેવાઓ પ્રભાવિત થઈ હતી. ઓનલાઈન દવા વેચાણને લઈને મેડીકલ સ્ટોર્સના સંચાલકો દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને ઓનલાઈન ફાર્મસી માટેની નિયત કરાયેલ મર્યાદામાં રહી કામ કરવાની માંગ કરવામાં આવી છે. આણંદ કેમીસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસીએશન આણંદ દ્વારા આજે પોતાના વેપાર-ધંધા બંધ રાખી શહેરની ગોપાલ ચોકડી ખાતે એકત્ર થઈ વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ જિલ્લા વહીવટી તંત્રની આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું.

આ દેશવ્યાપી બંધને આણંદ ડીસ્ટ્રીબ્યુટર્સ એસોસીએશને પણ પોતાનો ટેકો જાહેર કર્યો હતો. ભારત દેશમાં રીટેઈલમાં એફડીઆઈને મંજૂરીના વિરોધમાં વેપારીઓએ પોતાના ધંધા-રોજગાર બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો. વેપારીઓ દ્વારા કરાયેલ લેખિત રજૂઆતમાંં જણાવ્યા મુજબ સરકાર દ્વારા ફોરેન ડાયરેક્ટર ઈન્વેસ્ટમેન્ટને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

 તે દેશની પ્રગતિ અને ઈકોનોમી માટે જરૂરી છે. પરંતુ સરકાર દ્વારા રીટેઈલ સેક્ટરમાં એફડીઆઈને મંજૂરી આપી અન્ય વેપારીઓને નુકસાન કરવામાં આવી રહ્યું છે. એફડીઆઈ દ્વારા ઓનલાઈન અને મોટા મોલ ચાલુ કરાઈ રહ્યા છે. જેને લઈને નાના દુકાનદારોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે અને કેટલીય રોજગારી આપતી દુકાનો બંધ થવાના આરે છે ત્યારે સરકાર દ્વારા આ એફડીઆઈને મંજૂરી આપવામાં ન આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.

Tags :