મહાત્મા ગાંધીની સાર્ધ શતાબ્દિની ગુજરાતભરમાં વિશિષ્ટ ઉજવણી કરાઇ
સર્વધર્મ પ્રાર્થના સભા, રેલી, સફાઇ અભિયાન સહિતના વિશિષ્ટ આયોજન
પોરબંદરમાં કિર્તી મંદિર, સાબરમતી આશ્રમ, કોચરબ આશ્રમ ખાતે વિશિષ્ટ આયોજનો
અમદાવાદ, મંગળવાર
વિશ્વ વંદનીય રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧૫૦મી જયંતિની ગુજરાતભરમાં વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે રેલી, સર્વ ધર્મ પ્રાર્થના સભા, સફાઇ અભિયાન સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.
પોરબંદર ખાતે મહાત્મા ગાંધીના જન્મસ્થળ કિર્તી મંદિર ખાતે યોજાયેલી પ્રાર્થના સભામાં ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રી વિજય રૃપાણીએ જણાવ્યું હતું કે, 'આજે બધી જ સમસ્યાઓનું નિવારણ ગાંધી વિચારોમાં છે. ગાંધીજીના વિચારો આજે પણ એટલા જ પ્રસ્તુત છે. સત્ય, અહિંસાનો આગ્રહ અને સ્વચ્છતા એ જ ગાંધીજીને આજના દિવસે સાચી અંજલિ છે. ગાંધીજીએ સ્વરાજથી સુરાજ્યની વિભાવના પ્રસ્થાપિત કરી હંમેશાં આપણા માટે પ્રેરણારૃપ બન્યા છે. ' પોરબંદર ખાતે સર્વધર્મ પ્રાર્થના બાદ વિજય રૃપાણીએ ચોપાટી ગ્રાઉન્ડ ખાતે યુવા ભાઇ-બહેનોએ માનવ સાંકળ રચી ગાંધીજીના ચહેરાની પ્રતિકૃતિ રચી તે અદ્ભૂત દ્રશ્ય નિહાળ્યું હતું.
સાબરમતી આશ્રમ ખાતે ભજન સંધ્યા યોજાઇ હતી. જેમાં ઉપસ્થિત રહેલા રાજ્યપાલ ઓ.પી.કોહલી, મેયર બીજલબહેન પટેલ, આશ્રમ ટ્રસ્ટના કાર્તિકેય સારાભાઇ, મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરા, કલેક્ટર વિક્રાંત પાંડે સહિતના અગ્રણીઓ તેમજ વિશાળ સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત અમદાવાદના કોચરબ આશ્રમ ખાતે પણ મહાત્મા ગાંધીની જયંતિ નિમિત્તે વિશિષ્ટ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.