અમદાવાદ રેલવે સ્ટેશન પર લગેજ સેનેટાઇઝર-રેપિંગ મશીન લગાવાયું
- કોરોના સંક્રમણનું જોખમ ટાળવા દેશમાં પ્રથમ પ્રયોગ
- કેમિકલને બદલે અલ્ટ્રાવાયોલેટ કિરણોની મદદથી લગેજ સેનેટાઇઝ કરાશે, નિયત દર વસુલાશે
અમદાવાદ,તા.22 જુલાઇ 2020, બુધવાર
કોરોના સંક્રમણના ભયને જોતા અમદાવાદ રેલવે સ્ટેશન પર ' લગેજ સેનેટાઇઝર અને રેપિંગ મશીન ' લગાવવામાં આવ્યું છે. જે સમગ્ર દેશમાં રેલવે સ્ટેશનો પરનો પ્રથમ પ્રયોગ હોવાનું રેલવેના અધિકારીઓનું કહેવું છે. આ સુવિધા માટે મુસાફરોએ રેલવે દ્વારા નક્કી કરવામાં આવેલા પૈસાની ચૂકવણી કરવી પડશે.
અમદાવાદ વિભાગના પીઆરઓ પ્રદિપ શર્માના જણાવ્યા મુજબ અમદાવાદ રેલવે સ્ટેશને પ્લેટફોર્મ નં.૧ ઉપર આ પ્રકારનું મશીન લગાવાયું છે. જેમાં મુસાફર નિયત કિંમત ચૂકવીને તેમના લગેજને કોઇપણ પ્રકારના કેમિકલ સેનેટાઇઝ વગર ફક્ત ૩૬૦ ડિગ્રી અલ્ટ્રાવાયોલેટ કિરણોની મદદથી સંપૂર્ણ સેનેટાઇઝ કરાશે. જે સુરક્ષિત છે. સેનેટાઇઝર માટે મુસાફરે ૧૦ થી ૨૦ રૂપિયા સુધીનો ચાર્જ ચૂકવવો પડશે.
ઉપરાંત મુસાફર તેના લગેજને મુસાફરી દરમિયાન સુરક્ષિત રાખવા માંગતા હોય તો રેપિંગ પણ કરી અપાશે. આ માટે મુસાફરે ૬૦ થી ૮૦ રૂપિયા સુધીનો ચાર્જ ચૂકવવો પડશે. આગામી સમયમાં તમામ પ્લેટફોર્મ પર આ સુવિધા ઉભી કરવાનું આયોજન છે.
રેલવે સ્ટેશને મુસાફરોને મફત સેનેટાઇઝિંગની સુવિધા પુરી પડાય છે. પરંતુ લગેજ માટે તેઓએ પૈસા ચૂકવવા પડશે.