ડિગ્રી મેળવવાની સાથે જીવન જીવવાની કળા પણ શીખવી પડશે
વડોદરા,તા.29.જાન્યુઆરી,બુધવાર,2020
દેશની ઉચ્ચ શિક્ષણ આપતી સંસ્થાઓમાંથી ડિગ્રી મેળવનારા વિદ્યાર્થીઓને નોકરીઓ મળી નથી રહી.કારણકે વિદ્યાર્થીઓમાં અસરકારક કોમ્યુનિકેશન, ટીમ વર્ક, શિસ્ત, પ્રોફેશનલ વલણનો અભાવ જોવા મળે છે.આ પ્રકારની ખામીઓને દુર કરવા માટે હવે યુજીસી દ્વારા તમામ સંસ્થાઓ માટે એક ક્વોલિટી મેન્ડેટ બહાર પાડવામાં આવ્યો છે તેમ યુજીસી(યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન)ના ચેરમેન પ્રો.ધિરેન્દ્ર પાલ સિંઘે એમ.એસ.યુનિવર્સિટીના ૬૮મા દીક્ષાંત પ્રવચનમાં કહ્યુ હતુ.
તેમણે વિદ્યાર્થીઓને સંદેશ આપતા કહ્યુ હતુ કે,તમારો આગળનો રસ્તો પડકારોથી ભરેલો છે.આ પડકારોને તકોમાં પરિવર્તિત કરવાની છે.ખાલી ડિગ્રી મેળવવુ પૂરતુ નથી.તમારે જીવન જીવવાની કળામાં પણ પારંગત થવુ પડશે.દેશના જવાબદાર નાગરિક બનવુ પડશે અને સાથે સાથે ભૂખમરો, વસતી વધારો, કુદરતી સ્ત્રોતોનો વેડફાટ જેવી સમસ્યાઓને લઈને જાગૃતિ થવ પડશે.સમસ્યાઓને ઉકેલવા માટે આઉટ ઓફ ધ બોક્સ થિન્કિંગનો અભિગમ અપનાવવો પડશે.
તેમણે કહ્યુ હતુ કે, દેશને વૈશ્વિક સ્તરે મજબૂત બનાવવા માટે વિદ્યાર્થીઓની સર્જનાત્મક ભૂમિકા બહુ મહત્વની બની જાય છે.કારણકે વિદ્યાર્થીઓ જ આગળ જતા આંતરરાષ્ટ્રિય સ્તરે દેશનુ પ્રતિનિધિત્વ કરતા હોય છે.મહાત્મા ગાંધીજીના શબ્દોમાં કહીએ તો શિક્ષણનો હેતુ તમારી અંદર પહેલેથી જ રહેલી શ્રેષ્ઠ બાબતોને પ્રગટ કરવાનો છે.અધ્યાપકોએ આ શબ્દોને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ કરવા માટે પ્રયત્ન કરવો પડશે.