વડોદરામાં 12 સ્થળે શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો પ્રારંભ
- શ્રમજીવીઓને પાંચ રૂપિયામાં ભોજન મળી શકશે
વડોદરા,તા.20 જાન્યુઆરી 2023,શુક્રવાર
વડોદરા શહેરના સમા વિસ્તાર ખાતેના અભિલાષા કડીયાનાકા, સ્વાતિ બસ સ્ટેન્ડ પાસે શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો પ્રારંભ થવા સાથે વડોદરામાં બાર જગ્યાએ આ યોજના શરૂ થઈ છે. જેમાં શ્રમિકોને પાંચ રૂપિયામાં ભોજન અપાશે. ગુજરાત સરકાર દ્વારા ૨૦૧૭માં શ્રમજીવીઓને રૂ.૧૦/- માં ભોજન આપવાની યોજના શરૂ કરી હતી. પરંતુ બાદમાં આ યોજના બંધ થઈ ગઈ હતી. કોરોનાની મહામારીમાં જ્યારે વેપાર ધંધા પડી ભાગ્યા ત્યારે શ્રમજીવીઓને રોજગારી મળતી ન હતી તેવા કપરા સમયમાં આ યોજના ચાલુ રાખવા માંગ થઈ હતી. કોરોનાનું બહાનું આગળ ધરીને જે ગરીબોને 10 રૂપિયામાં જમવાનું મળતું હતું તે બંધ કર્યું હતું.
વડોદરામાંએ પછી શ્રમજીવીઓની ભોજન વ્યવસ્થા ચાલુ કરાવવા આવેદનપત્ર આપીને વારંવાર યોજના ચાલુ કરવા રજૂઆતો કરવામાં આવી હતી. વડોદરામાં ગોત્રી, વાઘોડિયા રોડ, મકરપુરા, ઓપી રોડ, છાણી, તરસાલી, સંગમ, તરસાલી, ન્યાય મંદિર વગેરે સ્થળે યોજના આજથી ચાલુ થઈ છે. આ યોજના તાજેતરમાં સરકારે દસમા મહિનાથી શરૂ કર્યા બાદ ત્રીજા તબક્કામાં આજથી વડોદરામાં શરૂ કરવામાં આવી છે. કોઈ શ્રમજીવિ પાસે ઈ-નિર્માણ કાર્ડ નહીં હોય તો પણ 15 દિવસ સુધી અહીંથી ભોજન મળી શકશે અને તેનું કાર્ડ તાત્કાલિક બનાવવામાં આવશે. શ્રમિકોને સવારે સાત થી 11 સુધી ભોજન અપાશે અને આ સાથે આરોગ્યની સુવિધા અને ફ્રી મેડિકલ ચેકઅપની સુવિધા પણ મળી શકશે. રાજ્યના બીજા જિલ્લાઓમાં આવતા સપ્તાહથી અન્નપૂર્ણા યોજના તબક્કાવાર શરૂ કરાશે.