લાલજી પટેલ અને એ.કે. પટેલની સજા પર હાઈકોર્ટનો સ્ટે
- વિસનગરના પૂર્વ ધારાસભ્યની ઓફિસમાં તોડફોડના કેસમાં
- હાર્દિકને આ કેસમાં હાઈકોર્ટ તરફથી ગત અઠવાડિયે સ્ટે મળી ચૂક્યો છે
અમદાવાદ, તા.20 ઓગસ્ટ 2018, સોમવાર
વિસનગરના પૂર્વ ધારાસભ્યની ઓફિસમાં તોડફોડ કેસમાં સરદાર પટેલ ગુ્રપના નેતા લાલજી પટેલ અને એ.કે. પટેલને વિસનગર સેશન્સ કોર્ટે આપેલી બે વર્ષની સજા પર ગુજરાત હાઈકોર્ટે સ્ટે ફરમાવ્યો છે. નીચલી અદાલતના ચુકાદા વિરૂદ્ધ લાલજી પટેલ અને એ.કે. પટેેલે હાઈકોર્ટમાં અપીલ કરી હતી. આ કેસમાં હાર્દિક પટેલ, લાલજી પટેલ અને એ.કે. પટેલને વિસનગર સેશન્સ કોર્ટે બે વર્ષની સજા ફટકારી હતી. ગત અઠવાડિયે હાર્દિક પટેલે હાઈકોર્ટમાં અપીલ કરી સજા પર સ્ટે અને જામીન મેળવ્યા હતા.
વિસનગર સેશન્સ કોર્ટના બે વર્ષની સજાના ચુકાદાને પડકારતી અપીલ લાલજી પટેલ અને એ.કે. પટેલ દ્વારા કરવામાં આવી હતી. સજા રદ કરવાની માગણી સાથે બન્ને અરજદારોએ રજૂઆત કરી છે વિસનગરમાં ૨૩ જુલાઈ, ૨૦૧૫ના રોજ યોજાયેલી રેલીમાં તેઓ સમાજના આગેવાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. વિસનગરમાં રેલી કાઢી મામલતદારને આવેદન પત્ર આપવાનું છે તેવી તેમને માહિતી હતી. આવેદનપત્ર આપી તેઓ ત્યાંથી નીકળી ગયા હતા. આવેદન પત્ર આપ્યા પછી વિફરેલા ટોળાએ ધારાસભ્યની કચેરી અને અન્ય સ્થળોએ તોડફોડ કરી તેમાં તેમની કોઈ ભૂમિકા નહોતી. તેથી તેમને આ તોડફોડ અને હિંસા માટે જવાબદાર ન ગણવા જોઈએ તેવી રજૂઆત કરવામાં આવી છે. હાઈકોર્ટે બન્નેની સજા પર સ્ટે ફરમાવ્યો છે તેમજ જામીન મંજૂર કર્યા છે.