ખોખરા રૂક્ષ્મણીબેન આયુર્વેદ હોસ્પિટલ પેપરલેસ બની
- રાજ્યમાં સરકારી આયુર્વેદ હોસ્પિટલમાં પ્રથમ પ્રયોગ
- સોફ્ટવેરની મદદથી કેસ કાઢવા, ટ્રીટમેન્ટ અને દવા આપવા સુધીની કામગીરી કરાશે
અમદાવાદ,તા.13 નવેમ્બર 2020, શુક્રવાર
ખોખરામાં આવેલી રૂક્ષ્મણીબેન આયુર્વેદ હોસ્પિટલમાં હવે ઓનલાઇન સોફ્ટવેરની મદદથી દર્દીઓના સરવારને લગતી કામગીરી કરાશે. જેમાં કેસ કાઢવાની પ્રાથમિક પ્રક્રિયાથી લઇને ડોક્ટર દ્વારા પ્રિસ્ક્રિપ્શન, આઇ.પી.ડી.માં દાખલ કરવા સુધી તેમજ ઓ.પી.ડી.માં દવા તથા સારવારની તમામ પ્રક્રિયા સોફ્ટવેરના માધ્યમથી આંગળીના ટેરવે કરી શકાશે.
ગુજરાતમાં ૩૩ જિલ્લાઓમાં આવેલી સરકારી આયુર્વેદ હોસ્પિટલો પૈકી રૂક્ષ્મણીબેન સરકારી આયુર્વેદ હોસ્પિટલ પ્રથમ હોસ્પિટલ છે કે જ્યાં સોફ્ટવેરની શરૂઆત કરાઇ હોય. આ અંગે આ હોસ્પિટલના વૈધ પંચકર્મ વર્ગ-૧ વૈધ જિજ્ઞાાસા સાકરીઆના જણાવ્યા મુજબ આયુર્વેદ હોસ્પિટલમાં સમગ્ર રાજ્યમાં આ પ્રથમ પ્રયોગ છે. આ સોફ્ટવેરની મદદથી સારવારની પ્રક્રિયા સરળ બની જશે. સમગ્ર કામગીરી પેપરલેસ થઇ જશે. દર્દીને યુનિક આઇડી નંબર અપાશે જેના માધ્યમથી તેના કેસ પેપરની આખી હિસ્ટ્રી સાચવી રખાશે. દર્દીના મોબાઇલ નંબર , નામ અને આધારકાર્ડ નંબરના આધારે પણ તેના કેસ ને ગમે ત્યારે શોધી શકાશે.
ઓનલાઇન રજિસ્ટ્રેશન બાદ દર્દીનો કેસ ડોક્ટર તેમના પીસીમાં જોઇ શકશે. દર્દીના ફોટા પણ પડાશે અને પીસીમાં જ ડૉક્ટર ટ્રીટમેન્ટ અને આપવાની થતી દવાની વિગતો લખી દેશે.
લાઇનમાં ઉભા રહેવું નહીં પડે, દર્દીઓએ કેસ પેપરો સાચવી રાખવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે.સોફ્ટવેરના રેકોર્ડના આધારે જેતે બીમારી ધરાવતા દર્દીઓને મોબાઇલમાં મેસેજ આપીને સમયાંતરે યોજાતા કેમ્પ અંગેની પણ જાણકારી મોબાઇલમાં મેસેજના માધ્યમથી આપી શકાશે. આથી દર્દીઓ માટે સારવારની આખી પક્રિયા સરળ અને સુવિધાજનક બની જશે.