વડોદરામાં ખાસવાડી સ્મશાન ગૃહ 15.50 કરોડના ખર્ચે નવું બનાવવામાં આવશે
- સ્મશાન નવું બનતા સહેજે દોઢ વર્ષ થઈ જશે
- રીનોવેશનની કામગીરીનો પ્રારંભ કરાયો
- પ્રોજેક્ટ પૂર્ણ થાય ત્યાં સુધી લોકોને અગવડતા વેઠવી પડશે
વડોદરા,તા.21 ઓગસ્ટ 2023,સોમવાર
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના કારેલીબાગ સ્થિત ખાસવાડી સ્મશાનગૃહની હાલત જર્જરીત બની છે, ત્યારે આજથી રૂ.15.50 કરોડના ખર્ચે આ સ્મશાનની રીનોવેશનની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે આજે ગુજરાત વિધાનસભાના દંડકના હસ્તે આ કામગીરીનો પ્રારંભ કરાયો હતો.
આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે આખો પ્રોજેક્ટ પૂર્ણ થતા દોઢ વર્ષ થશે. જેના કારણે સમાજના તમામ વર્ગને અગવડતા પડશે. ખાસ કરીને મરાઠી સમાજને વધુ અગવડતા પડશે. કારણ કે મરાઠી સમાજ પરંપરાગત રીતે અંતિમ વિધિ આ સ્મશાન ખાતે કરે છે. કામગીરી દોઢ વર્ષ ચાલુ રહેવાની હોવાથી અગવડતા ભોગવી લેવા અનુરોધ કર્યો હતો.
અહીં કેન્દ્ર સરકાર હસ્તકની બે કંપનીના સીએસઆર ફંડમાંથી રીનોવેશનની કામગીરી થનાર છે. આ સ્મશાન વડોદરાનું સૌથી મોટું છે. નવીનીકરણ બાદ અહીં શ્રેષ્ઠ કક્ષાનું સ્મશાન ગૃહ મોક્ષ ધામ આકાર લેશે તેમ હોદ્દેદારો કહે છે. અહીં 12 લાકડાની અને બે ગેસ ચિતા બનશે. આ ઉપરાંત મરાઠી સમાજ દ્વારા થતી વિધિ માટે પણ વ્યવસ્થા ઉભી કરાશે. લેન્ડસ્કેપિંગ તેમજ નહાવા ધોવા માટેની સુવિધા કરવામાં આવશે. અગાઉ અહીં ચિતા પર ચોમાસા દરમિયાન સતત પાણી પડતું હોવાથી ઉહાપોહ થયો હતો. ખાસવાડી સ્મશાનગૃહ તોડી નાખીને 15.50 કરોડના ખર્ચે નવું બનાવવા અગાઉ જાહેરાત કરવામાં આવી હતી. કેન્દ્ર સરકાર હસ્તકની બે કંપની પૈકી એક કંપની રૂ.7.72 કરોડ અને બીજી કંપની રૂ.7.56 કરોડ આપનાર છે, અને કામગીરી બે તબક્કામાં કરવામાં આવશે.