વડોદરા: જાંબુઘોડા અભયારણ્યમાં પશુ પક્ષીઓ માટે 80 કુંડી, અવેડા બનાવાયા

- 13 સ્થળોએ બોરને સંલગ્ન પવનચક્કીથી કુંડીઓ ભરવામાં આવે છે.
વડોદરા,તા.22 માર્ચ 2021,મંગળવાર
જાંબુઘોડા અને રતનમહાલ અભયારણ્ય હેઠળના વિસ્તારોમાં વિવિધ પ્રકારના વન્ય પ્રાણીઓ અને પક્ષીઓ તરસ છીપાવી શકે તે માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે.બીજા શબ્દોમાં કહીએ તો પશુઓ માટે પાણીની પરબો ઊભી કરી છે.
જાંબુઘોડા અને શિવરાજપુર રેન્જમાં 13000 હેકટર જંગલ વિસ્તારમાં વન્ય પ્રાણીઓ માટે ઉનાળુ જળ વ્યવસ્થા કરવામાં આવી છે. આ આખા વિસ્તારમાં જ્યાં ખૂબ અંતરિયાળ જગ્યાઓ છે ત્યાં બોર સાથે જોડેલી 13 પવનચક્કીઓ બેસાડવામાં આવી છે. આ ચક્કી ચાલે તેની સાથે ડંકીનો દંડો ઊંચોનીચો થાય અને સાથેની કુંડી ભરાય છે.આ દુર્ગમ વિસ્તાર હોવાથી વાહન દ્વારા પાણી પહોંચાડવું અઘરું છે.એટલે આ વ્યવસ્થા આશીર્વાદ બની છે.રાજ્યના દક્ષિણના જંગલોમાં પવનચક્કી આધારિત ડંકી અને હોજ બનાવવાની શરૂઆત જાંબુઘોડાથી 2019માં થઈ હતી.
ઉનાળામાં મુખ્યત્વે જંગલની અંદરના વિસ્તારોમાં પાણીના સ્ત્રોત સુકાઈ જાય છે.આ બંને રેન્જમાં પાણી ભરવા માટે 80 જેટલી કુંડીઓ, હવાડા અને ચેકડેમની કુંડીઓ બનાવવામાં આવી છે. ટ્રેકટર જોડેલા ટેન્કર વડે વારાફરતી આ હોજ અને કુંડીઓ ભરવામાં આવે છે. આ વિસ્તારમાં પક્ષી વિવિધતા છે અને પંખીઓને પણ આ વ્યવસ્થા થી પાણી મળી રહે છે.
જાંબુઘોડા અભયારણ્યમાં મુખ્યત્વે દીપડો, ઝરખ, ભૂંડ, હરણ સહિતના વન્યજીવો છે. રતન મહાલમાં રીંછ અને દીપડા સહિત વન્ય પ્રાણીઓ છે.




