અમદાવાદ: જમાલપુર શાક માર્કેટ 15 જુલાઈ સુધી બંધ રહેશે
અમદાવાદ, તા.29 જુન 2020, સોમવાર
અમદાવાદમાં આવેલું જમાલપુર એપીએમસી માર્કેટ કાર્યરત છે, પરંતુ આ માર્કેટ હવે 15 જુલાઈ સુધી બંધ રહેશે. જેની પાછળનું કારણ છે પોલીસ પરમિશન. જમાલપુર એપીએમસી માર્કેટમાં કુલ 159 દુકાનો આવેલી છે પરંતુ આ દુકાનોમાં 240 વેપારીઓમાંથી માત્ર 53 વેપારીઓને જ લાયસન્સ મળ્યા છે.
દરરોજ 53 વેપારીઓ અમદાવાદના જમાલપુર માર્કેટમાં કાર્યરત રહી શકશે તેવો નિયમ બનાવવામાં આવ્યો છે. આ નિયમ અંતર્ગત ત્રણ- ત્રણ દિવસના સમયગાળામાં 53 દુકાનો ખોલી શકાશે તેવા નિયમને લઈને વેપારીઓમાં વિરોધ ઉઠયો છે. વેપારીઓનો આક્ષેપ છે કે, તેમની સાથે અન્યાય થઇ રહ્યો છે જેને કારણે તમામ વેપારીઓએ આજે ખેડૂતોનો માલ સ્વીકાર્યો પણ નથી.
અમદાવાદ જમાલપુર માર્કેટમાં જો કોઈ ખેડૂતે શાકભાજી વેચવું હોય તો રાતના 9:00થી લઈને સવારના 6.00 વાગ્યા સુધી શાકભાજી વેચી શકે છે, પરંતુ આજે માર્કેટમાં વેપારી હડતાલ કરતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા હતા. આ પહેલા કોરોના વાયરસને લઈને જમાલપુર માર્કેટ જેતલપુરમાં ખસેડવામાં આવ્યું હતું. જે રથયાત્રા બાદ ફરી એકવાર જમાલપુરથી શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ હજુ પણ માર્કેટ શરૂ થતા વેપારીઓ અને ખેડૂતો બંને ચિંતામાં છે. બીજી તરફ પૂરતા પ્રમાણમાં શાકભાજી ન મળતા છૂટક બજારની અંદર પણ શાકભાજીના તોતિંગ ભાવ છે.