ગુલ્લીબાજ તલાટીઓ માટે હાજરી પત્રકમાં સહી કરવી હવે ફરજિયાત
જિલ્લામાં વેરાની નબળી વસૂલાતના પગલે
ડીડીઓ દ્વારા આખરે તલાટીઓની ગામમાં ગેરહાજરી મુદ્દે તાલુકા વિકાસ અધિકારીની પણ જવાબદારી નિયત કરાઇ
ગાંધીનગર : ગાંધીનગરના ગામડાઓમાં તલાટીઓની નિયમિત ગેરહાજરીના કારણે વેરાની વસૂલાત તો નબળી રહી જ છે. વધારામાં ગ્રામજનોની ફરિયાદોનું નિરાકરણ નહીં થવાથી તેમણે જિલ્લા પંચાયતના ધક્કા ખાવા પડે છે. આ મુદ્દે હવે તલાટીઓએ રોજ હાજરી પત્રકમાં સહી કરવાનું ફરજીયાત કરાયું છે. સાથે જ ડીડીઓ દ્વારા આખરે તલાટીઓની ગામમાં ગેરહાજરી મુદ્દે તાલુકા વિકાસ અધિકારીની પણ જવાબદારી નિયત કરવામાં આવી છે.
જિલ્લા વિકાસ અધિકારી સુરભી ગૌતમ દ્વારા આ સંબંધે ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસાના
તાલુકા વિકાસ અધિકારી અને તમામ તલાટી તથા સરપંચોને પરિપત્ર પાઠવીને સરકારે નિયત
કરેલા સમય દરમિયાન ગામમાં તલાટીની હાજરી મુદ્દે વિવિધ આદેશ કરાયા છે. તેમાં
જણાવાયું છે, કે તલાટી
તેને સોંપાયેલા ગામ, સેજામાં
નિયત હાજર રહીને વ્યવસ્થિત કામ કરે છે,
કે નહીં તેની ચકાસણી તાલુકા વિકાસ અધિકારીએ કરવાની રહે છે. પરંતુ સરકારની
વાંવારની સુચના છતાં તે બાબતે લક્ષ આપવામાં આવતું નથી. તલાટીઓ હાજરી પત્રક નિભાવતા
નથી. તેની હાજરીની ચકાસણી પણ થતી નથી. તેથી તલાટીઓ દરરોજ પત્રકમાં સહી કરીને હાજરી
પુરે અને તેની સામે સરપંચની પણ સહી કરાવે. આકસ્મિક કારણથી પરચૂરણ રજા લેવાની થાય
તો તાલુકા વિકાસ અધિકારીને ફોનથી અથવા વોટ્સઅપ કરીને જાણ કરે તેવી સુચના ટીડીઓએ
તમામ તલાટીને આપવાની રહેશે.
તલાટીઓએ દરેક ગ્રામ પંચાયત સંબંધે મુવમેન્ટ રજીસ્ટર પણ નિભાવવાનું રહેશે. જ્યારે તલાટીએ કચેરીના કામથી બહાર જવાનું થાય ત્યારે તેમાં ફરજીયાત નોંધ કરવાની રહેશે. તેવા કિસ્સામાં તલાટીના મોબાઇલ નંબર સાથે નોટિસ બોર્ડ પર પ્રસિદ્ધિ પણ કરવાની સુચના ટીડીઓએ આપવાની રહેશે. દર ૧૫ દિવસે તાલુકા વિકાસ અધિકારીએ બાજરી પત્રક અને મુવમેન્ટ રજીસ્ટરની ચકાસણી કરીને તેમાં પોતાની સહી કરવા પણ આદેશ આપવામાં આવ્યો છે.