અત્યારની તણાવભરી સ્થિતિમાં શ્વાસ રૂંધાવો એ સ્વાભાવિક છે, કોરોનાનું લક્ષણ માનશો નહીં
- કોરોના રિલેટેડ માનસિક તણાવની ફરિયાદો 30 થી 40 ટકા વધી, મને કોરોના થયો હશે કે નહીં તેઓ લોકોમાં ડર
Updated: Apr 1st, 2020
અમદાવાદ, તા. 01 એપ્રીલ 2020, બુધવાર
અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં કોરોનાએ પગ પેસારો કર્યા બાદ છેલ્લા પંદર દિવસથી રાજ્યમાં તણાવભરી સ્થિતિ ઊભી થઈ છે અને છેલ્લા પંદર દિવસથી કેસ વધવા સાથે લોકોમાં ડરનો માહોલ પણ ઉભો થયો છે .એક બાજુ સમગ્ર દેશમાં લોકડાઉન છે ત્યારે લોકો ઘરની બહાર નીકળી શકતા અને તેમાં પણ કોરોનાને લઇને અનેક ઉદ્ભવેલા પ્રશ્નો વચ્ચે લોકો હાલ તણાવભરી સ્થિતિમાં સમય વ્યતીત કરી રહ્યા છે.
આ સ્થિતિમાં સામાન્યપણે લોકોને શ્વાસ રૂંધાવો, શ્વાસ લેવામાં તકલીફ પડવી, છાતીમાં ભાર લાગવો વગેરે જેવા સહિતના લક્ષણો અનુભવાતા હોય છે. જેને લોકો કોરોના નું લક્ષણ માની લે છે.આ અંગે સિનિયર સાઈકોલોજિસ્ટ ડૉ.પ્રશાંત ભીમાણીએ જણાવ્યું કે હાલની પરિસ્થિતિમાં લોકોમાં ભય અને તણાવનો માહોલ પેદા થવો એ સ્વાભાવિક છે.
છેલ્લાં કેટલાક દિવસોમાં કોરોના સંબંધિત ડર અને તણાવની ફરિયાદો ૩૦ થી ૪૦ ટકા વધી છે. પરંતુ લોકોએ ગભરાવાની કે ડરવાની જરૂર નથી. શ્વાસ રૂંધાવો કે શ્વાસ લેવામાં તકલીફ પડવી કે છાતીમાં ભાર લાગવો તે સહિતના લક્ષણો એ કોરોનાના લક્ષણો હોતાં નથી. હાલની તણાવભરી સ્થિતિમાં આ મનોદૈહિક લક્ષણો કહી શકાય જેને સાયકોલોજીની ભાષામાં સોમેટાઈઝેશન કહેવામાં આવે છે.
આ પરિસ્થિતિમાં આવા લક્ષણવાળા લોકોએ રૂમમાં જ બારીની પાસે ઊભા રહીને ઊંડો શ્વાસ લેવો જોઈએ , ડીપ બ્રીધીંગ કરવું જોઈએ તેમ જ ગેલેરીમાં ઊભા રહીને આકાશ તરફ જોઈ ઊંડો શ્વાસ લેવો જોઈએ . આ ઉપરાંત સવારમાં વહેલા ઊઠીને ઘરમાં જ સૂર્ય નમસ્કાર તેમજ હળવી કસરતો પણ કરી શકાય જેનાથી માનસિક શાંતિ અનુભવાય અને પોઝિટિવિટી આવી શકે.
Gujarat