Get The App

સરદારનગર વોર્ડમાં ગટરોના પાણી રોડ પર નદીની જેમ વહ્યા !

- સાબરમતીના ડ્રેનેજ જોડાણ કપાયા બાદ ઘર આંગણે પ્રદુષણની સમસ્યા વકરી

- ઉછાળા મારતું ગંદુ પાણી રોડ પર પુરજોશમાં વહે છે, લોકોએ રોડ પરથી પસાર થવું પણ મુશ્કેલ, રોગચાળાનો ભય

Updated: Feb 25th, 2022

GS TEAM

Google News
Google News
સરદારનગર વોર્ડમાં ગટરોના પાણી રોડ પર નદીની જેમ વહ્યા ! 1 - image

અમદાવાદ,તા.25 ફેબ્રુઆરી 2022, શુક્રવાર

સરદારનગર વોર્ડમાં હોટલ તાજ પાછળ આવેલી સોસાયટીના ડ્રેનેજ જોડાણો કપાતા આ રહેણાંક વિસ્તારના રોડ પર ગટરના પાણી આજે શુક્રવારે પણ નદીની જેમ વહેતા જોવા મળ્યા હતા. લીલામણી સોસાયટી, રણમુક્તેશ્વર મહાદેવ મંદિર અને તેની આજુબાજુના વિસ્તારમાં ગટરો ઉછાળા મારતી ઉભરાઇ હતી. ગંદા પાણી  દુર્ગંધ મારતા સળસળાટ રોડ પર વહેતા રહ્યા હતા. જેને લઇને લોકો માટે અવર-જવર કરવી પણ મુશ્કેલ બની ગયું હતું.

સાબરમતી નદીમાં ડ્રેનેજના ગંદા પાણી ઠાલવતી સોસાયટીઓ સામે મ્યુનિ.કોર્પોરેશને પગલા લેવાનું શરૂ કર્યું છે. સાબરમતી નદી સુધી જતા ડ્રેનેજ જોડાણો કાપી નંખાતા હવે સ્થિતિ એ સર્જાઇ છેકે ગટરોના પાણી બેક મારીને ઘરઆંગણે ઉભરાઇ રહ્યા છે.

પુરજોશમાં રોડ પર વહી રહ્યા છે. જેના કારણે લોકો માટે આ વિસ્તારમાં રહેવું મુશ્કેલ બન્યું છે. ગટરના પાણીના કારણે રાહદારીઓ તો રોડ પરથી અવર-જવર કરી શકે તેવી સ્થિતિ પણ રહી નથી. હાલમાં આ રહીશો હાલાકીમાં મુકાયા છે. કોર્પોરેશને ખાળકુવાનો વિકલ્પ સુચવ્યો છે. 

પરંતુ નવાઇની વાત એછેકે મોટાભાગની સોસાયટીઓમાં ખાળકુવા પણ નથી. અને જે છે તે પૂનઃસક્રિય કરવા માટે મોટી કવાયત હાથ ધરવી પડે તેમ છે. વૈકલ્પિક વ્યવસ્થા થશે ત્યારે થશે પરંતુ હાલમાં ગટરોના પાણી ઘરઆંગણે ફરી વળ્યા છે તેનું શું? તે પ્રશ્ન લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

ગટર લાઇનની પુરતી વ્યવસ્થા વગર બારોબાર સોસાયટીઓનો ઉપયોગ શરૂ થવો, નદીમાં ગટરના પાણી આજદીન સુધી ઠાલવીને નદીને પ્રદુષિત કરવી, હવે પ્રદુષણના મૃદ્દે જ્યારે ડ્રેનેજ જોડાણો કપાયા છે ત્યારે ઘર આંગણાના પ્રદુષણનો પ્રશ્ન સર્જાયો છે. રોગચાળો ફેલાય , લોકો નર્કાગારમાં જીવવા મજબૂર બને તે પહેલા આ સમસ્યાનો લોકોએ અને તંત્રએ સાથે મળીને ઉકેલ લાવવો જોઇએ તેવી માંગણી ઉઠી છે.