જાન્યુઆરીમાં આવી જાય છે પરંતુ હાલ 20 ટકા આંબાને મહોર છે
હવામાન અસ્થિર બનતાં અને આક્રમક ઠંડી પડતાં બજારમાં પાક મોડો આવશે, માવઠાંથી આંબાને 15 ટકા નુકસાન થયાનું અનુમાન
ગાંધીનગર : ગુજરાતમાં અસ્થિર હવામાન, તીવ્ર ઠંડી. કમોસમી વરસાદ તેમજ માવઠાંથી કેરીના પાકને હાનિ પહોંચી છે. ડિસેમ્બરના અંત સુધીમાં જે આંબાને મહોર આવી જતા હોય છે ત્યાં હજી સુધી મહોર આવ્યા નહીં હોવાથી બજારમાં કેરીનો પાક મોડો આવે તેવી સંભાવના છે.
જાન્યુઆરી મહિનો પૂર્ણ થવા આવ્યો છે છતાં હજી 20 ટકા આંબાને મહોર આવ્યા છે જેના માટે પ્રતિકૂળ વાતાવરણ જવાબદાર છે. ખેડૂતો કહે છે કે મહોર મોડાં આવી રહ્યાં હોવાથી કેરી એક મહિનો મોડી આવશે. ગયા વર્ષે પણ સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં પેદા થતાં કેસર કેરી મોડી બજારમાં આવી હતી. આ વર્ષે પણ મોડું થાય તેવી દહેશત છે.
કૃષિ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે જાન્યુઆરી મહિનાની મધ્યમાં 70 ટકા આંબાને મહોર આવી જતા હોય છે પરંતુ અત્યારે માત્ર 20 ટકા આંબાને મહોર આવ્યા છે. આ વર્ષે ઠંડી, માવઠું અને વાદળછાયું વાતાવરણ કેરીના પાક અસર કરી રહ્યું છે.
ખેડૂત આગેવાનો જણાવે છે કે માર્ચ મહિનામાં અથાણા માટેની કેરી બજારમાં આવશે જ્યારે ખાવાલાયક કેરી મે મહિનામાં આવી શકે તેમ છે. હજી પણ ગુજરાતમાં હવામાન સ્થિર થયું નથી તેથી ઉત્પાદન કેટલું થશે તે નિશ્ચિત નથી.
કિસાન નેતા કહે છે કે આ વર્ષે ઇયળ, થિપ્સ અને મઘીયો જેવી જીવાતના કારણે આંબા પર મહોર આવ્યા નથી. જંતુના નાશ માટે બે વખત છોડને દવા આપવામાં આવી છે. પ્રતિકૂળ હવામાનના કારણે જીવાતનો ત્રાસ વધી જતાં પાકને અસર થઇ છે. આ વર્ષે વાવાઝોડાંના કારણે આંબાના વૃક્ષોને નુકશાન થયું હોવાથી ઉત્પાદકતાને અસર થવાની સંભાવના છે.


