કામદાર, નોકરિયાત પછી ઘરના નોકરને પગાર નહીં આપ્યો તો થઈ શકે છે એક વર્ષ સુધીની કેદ
- ગુજરાત સરકારના રોજગાર વિભાગ દ્વારા જાહેર કરાયો ઓર્ડર
Updated: Apr 7th, 2020
અમદાવાદ, તા. 03 માર્ચ 2020, શુક્રવાર
કોરના મહામારીને પગલે ભારત સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરાયા બાદ રોજગાર, ધંધા અને વ્યવસાય બંધ થઈ ગયા છે ત્યારે મજૂરોને છૂટા કરવાની કે વ્યવસાયકારોને પગાર નહીં આપવાની અને કામદારોને પગાર વગર કાઢી મૂકવાની અનેક ફરિયાદો ઉઠી છે.
જેને લઇને ગુજરાત સરકારના એમ્પ્લોયમેન્ટ એન્ડ લેબર ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરાયેલા ઓર્ડર મુજબ જો કોઈ પણ કંપની, ફેક્ટરી, યુનિટ કે કારખાનાવાળા તેમના કર્મચારી, કામદાર કે મજૂરને કાઢી મૂકશે અને પગાર નહીં આપે તો તેની સામે કાયદેસરના પગલાં લેવામાં આવશે.
ઉપરાંત ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની જોગવાઈ મુજબ પગાર નહીં આપનારા કે પગાર કાપી લેનારા કારખાનેદારો, ફેક્ટરી માલિકો સામે કાયદાકીય કાર્યવાહી થશે તેમજ એક વર્ષ સુધીની જેલ પણ થઇ શકે છે અથવા આર્થિક દંડ પણ થઈ શકે છે.
આ અંગે સરકારના એમ્પ્લોયમેન્ટ એન્ડ લેબર ડિપાર્ટમેન્ટના એડિશનલ ચીફ સેક્રેટરી વિપુલ મિત્રાએ જણાવ્યું કે ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની જોગવાઈ મુજબ જો કોઈ પણ કંપની કે ફેક્ટરી વાળા કર્મચારી, કામદાર, મજૂરોને પગાર નહીં આપે એટલું જ નહીં મકાન માલિક પણ નોકર ક ઘરઘાટીને પગાર નહીં આપે તો તેની સામે કાયદાકીય પગલા રૂપે એક વર્ષ સુધી ની જેલ પણ થઇ શકે છે.
તેમણે કહ્યું, અમને અત્યાર સુધી પગાર ન આપવાની અનેક ફરિયાદો મળી છે જેમાં ખાસ કરીને પીપાવાવ પોર્ટની બહાર આવેલા કેટલાક યુનિટ દ્વારા પગાર ન કરાયો હોવાની ફરિયાદ મળી હતી. આ ઉપરાંત સુરત ટેક્સ્ટાઇલ યુનિટના કેટલાક યુનિટ સામે પણ ફરિયાદ મળી હતી તેમજ ભાવનગરના અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં પણ કેટલાક મજૂરોને પગાર ન મળ્યાની ફરિયાદ સામે આવી હતી. પરંતુ આ તમામ ફરિયાદોનું નિરાકરણ કરી દેવામાં આવ્યું છે અને કામદારો, મજૂરોને પગાર ચુકવી દેવાયો છે.
Gujarat