Get The App

ખંભાતનો અખાત 'ઝેરનો અખાત' બન્યો : વડોદરા પર તોળાતુ 'જળ સંકટ'

પુનમ-અમાસની ભરતી વખતે અખાતમાં ઠલવાયેલુ પ્રદૂષણ બેક મારીને મહિસાગરમાં છેક પાદરા સુધી પહોંચે છે

Updated: Jan 2nd, 2022

GS TEAM


Google News
Google News
ખંભાતનો અખાત 'ઝેરનો અખાત' બન્યો : વડોદરા પર તોળાતુ 'જળ સંકટ' 1 - image


વડોદરા : છેલ્લા ૪૦ થી ૫૦ વર્ષથી ખંભાતના અખાતમાં ઠલવાતા રાજ્યના ૮૦ ટકા ઉદ્યોગોના એફ્લુઅન્ટ (ઝેરી કેમિકલ યુક્ત ઔદ્યોગિક પ્રવાહી)ના કારણે ખંભાતનો અખાત 'ઝેરનો અખાત' બની ગયો છે જેની સીધી અસર ગુજરાતના અન્ય કોઇ શહેરોની સરખામણીમાં વડોદરા ઉપર વધુ પડી રહી છે અને નજીકના ભવિષ્યમાં વડોદરા માટે પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાય તેવા સંજોગો નિર્માણ પામ્યા છે.

આ અંગે વાત કરતા પર્યાવરણ સુરક્ષા સમિતિના રોહિત પ્રજાપતિનું કહે છે કે 'ટેકનિકલ રીતે જોવા જઇએ તો ખંભાતના અખાતનું પાણી દરિયામાં ભળતુ નથી. અખાતમાં જ ઘુમરાયા કરે છે એટલે તેમા ઠલવાતુ ઔદ્યોગિક ઝેરી પ્રદૂષણ દરિયામાં જતુ નથી એટલે છેલ્લા ૫૦ વર્ષમાં ઠલવાયેલા પ્રદૂષણથી ખંભાતનો અખાત છલોછલ ભરાઇ ગયો છે. હવે પુનમ-અમાસના દિવસે દરિયામાં ભરતી આવે ત્યારે અખાતમાંથી આ પ્રદૂષણ બેક મારે છે અને મહિસાગર નદીમાં ૩૦ થી ૫૦ કિ.મી. અંદર સુધી આ પ્રવાહી આવી જાય છે. આજે પુનમ હોવાથી વડોદરા નજીક ડબકા ગામ સુધી મહિસાગરમાં ઝેરી રસાયણ દેખાયુ હતુ જેના કારણે નદીની સપાટી પર ફીણની ચાદર પથરાઇ ગઇ હતી. વડોદરાનું ૬૦ ટકા પાણી મહિસાગરમાંથી આવે છે. વડોદરા આ ઝેરી પાણી પી રહ્યું છે અને હવે પ્રદૂષણમાં વધારો થશે તો વડોદરાના લોકો આ પાણીનો ઉપયોગ નહી કરી શકે બીજી તરફ વડોદરા પાસે આજવા સરોવર સિવાય બીજી કોઇ વૈકલ્પિક વ્યવસ્થા નથી એટલે પાણીની મોટી સમસ્યા ઉભી થશે.

વાત લોકોના સ્વાસ્થ્ય પુરતી સીમિત નથી. નદી અને દરિયાના જળચર પ્રાણીઓ પણ ખતરામાં છે, ખેતીવાડી અને પર્યાવરણ પણ ખતરામાં છે. 'ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસ ખુબ વધ્યો છે. પરંતુ ઔદ્યોગિક પ્રદૂષણના નિયમોનો ગુજરાતમાં અમલ થતો નથી પરિણામે રાજ્યના પર્યાવરણ અને જાહેર આરોગ્ય ઉપર મોટો ખતરો ઉભો થયો છે.આ ગંભીર સમસ્યા સામે સરકારનું મૌન છે. ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ જાણે અસ્તિત્વમાં જ ના હોય એમ ઉદ્યોગો પણ પ્રદૂષણના મુદ્દે ખુલ્લેઆમ કાયદાનો ભંગ કરી રહ્યા છે.

એક વર્ષ પહેલા નિમાયેલી એક્સપર્ટ કમિટિએ હજુ સુધી રિપોર્ટ નથી આપ્યો

રોહિત પ્રજાપતિનું કહેવુ છે કે 'ખંભાતનો અખાત એ દરીયો નથી. અખાત છે તે ત્રણ તરફથી જમીનથી ઘેરાયેલ છે એટલે તેમાં કેટલુ ઔદ્યોગિક પ્રદૂષણ ઠલવાવવું જોઇએ તે નક્કી કરવામાં સરકાર નિષ્ફળ ગયેલી છે. અમે છેલ્લા ચાર વર્ષથી સતત ફરિયાદ કરી રહ્યા હોવાથી ગત વર્ષે એક્સપર્ટ કમિટીની રચના કરવામાં આવી હતી પણ આ કમિટીએ હજુ સુધી વચગાળાનો રિપોર્ટ પણ આપ્યો નથી.

ઔદ્યોગિક પ્રદૂષણને શિકાર નદીઓ

(૧) સાબરમતિ

(૨) મહિસાગર

(૩) ઢાઢર

ખંભાતના અખાતમાં ઝેર ઠાલવતી ઔદ્યોગિક વસાહતો

(૧) અમદાવાદ-વટવા

(૨) વડોદરા-પાદરા-જંબુસર

(૩) ભાવનગર-અલંગ

(૪) દહેજ

(૫) ભરૃચ-અંકલેશ્વર-પાનોલી

(૬) ખંભાત

Tags :