અમદાવાદ
ગુજરાત યુનિવર્સિટી
સંલગ્ન બી.એસસી કોલેજોમાં આ વર્ષે અનેક રાઉન્ડ અને અનેકવાર નવા રજિસ્ટ્રેશન બાદ પણ
૮ હજારથી વધુ બેઠકો હજુ ખાલી પડી છે.જેથી આ બેઠકો ભરાય તે માટે મેડિકલ-પેરામેડિકલ પ્રવેશ
બાદ બીજા સત્રમાં નવા પ્રવેશ આપવા વિચારણા હાથ ધરાઈ છે.જો કે યુનિવર્સિટી સત્તાવાર
જાહેરાત સત્તામંડળની મંજૂરી બાદ કરાશે.
આ વર્ષે
ધો.૧૨ સાયન્સની બોર્ડ પરીક્ષા રદ થતા માસ પ્રમોશનમાં તમામ વિદ્યાર્થીઓ પાસ થવા
છતાં પણ બીએસસીમાં બેઠકો ભરાઈ નથી.ગુજરાત યુનિ.સંલગ્ન બીએસસી કોલેજોની ૧૪ હજારથી
વધુ બેઠકોમાંથી બે ઓનલાઈન અને બે ઓફલાઈન રાઉન્ડ બાદ પણ ૬ હજાર જેટલી બેઠકો માંડ
ભરાઈ છે.કેટલીક સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોમાં પણ બેઠકો ખાલી પડી છે.કોરોનાને
લીધે પ્રવેશ પ્રક્રિયા મોડી થવા ઉપરાંત મેડિકલ-પેરામેડિકલના પ્રવેશ દિવાળી સુધી પણ
ન થતા વિદ્યાર્થીઓ મુંઝવણમાં જ રહ્યા છે અને જેને લીધે તેની મોટી અસર બીએસસી
પ્રવેશમાં પડી છે.પ્રથમવાર બીએસસીમાં આટલી બધી બેઠકો ખાલી પડી છે.હવે ગુજરાત
યુનિ.દ્વારા બીજા સત્રમાં પણ પ્રવેશ આપવાની કવાયત હાથ ધરાશે. નેશનલ એજ્યુકેશન પોલીસીમાં બીજા સત્રથી પણ
વિદ્યાર્થીઓને પ્રવેશ આપી જોગવાઈ છે ત્યારે બીએસસીમાં પ્રથમવાર આ પ્રયોગ કરવામા આવી
શકે છે.જેમાં બીએસસીના બીજા સત્રમાં સીધો જ વિદ્યાર્થીઓને પ્રવેશ આપી દેવામા આવે.
મેડિકલ-પેરામેડિકલના પ્રવેશ બાદ ઘણા વિદ્યાર્થીઓ બીએસસીમાં આવી શકે તેવી સંભાવના
છે.પરંતુ અગાઉ જે વિદ્યાર્થીઓએ પ્રવેશ લઈ લીધા છે તેઓનું પ્રથમ સત્ર પૂર્ણ થઈ ગયા
બાદ તેઓ બીજા સત્રમાં આવે અને તેઓની સાથે નવા વિદ્યાર્થીઓ પણ બીજા સત્રમાં આવે તો
પરીક્ષાઓ પણ અલગ અલગ કરવી પડે. ઓડ-ઈવન પરીક્ષા પદ્ધતિમાં પણ ફેરફાર કરવો પડે.જો કે
હાલ ૫૦ ટકાથી વધુ બેઠકો ખાલી પડી હોવાથી બીજા સત્રમાં સીધો વિદ્યાર્થીઓને પ્રવેશ
આપી દેવાય તો બેઠકો ભરાવા સાથે વિદ્યાર્થીઓને પણ વર્ષ બચી શકે છે.આ માટે
યુનિ.મેડિકલ-પેરામેડિકલ પ્રવેશ બાદ સત્તાવાર જાહેરાત કરી શકે છે.


