Gujarat

અમદાવાદમાં કર્ફ્યુની જાહેરાત બાદ STની અવર-જવર બંધ, પબ્લિક ટ્રાન્સપોર્ટ પણ બંધ રહેશે

By GS Team
20 Nov 20201 min read
This article was originally published on 20 Nov 2020
અમદાવાદમાં કર્ફ્યુની જાહેરાત બાદ STની અવર-જવર બંધ, પબ્લિક ટ્રાન્સપોર્ટ પણ બંધ રહેશે

- અમદાવાદમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ બંધ રહેશે
- વિમાની સેવા પણ તેના નિયત સમયપત્રક મુજબ અવર-જવર કરશે

અમદાવાદ, તા. 20 નવેમ્બર 2020, શુક્રવાર

દિવાળીના તહેવાર બાદ જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. અમદાવાદ શહેરમાં જીવલેણ કોરોના વાયરસના કેસોમાં વધારો થતા પરિસ્થિતિ અત્યંત ભયજનક રહી છે. શહેરમાં આજે રાતથી સોમવાર સવાર સુધી ST બસની સેવા બંધ રહેશે. નોંધનીય છે કે 57 કલાકના કરફ્યુ દરમિયાન અમદાવાદમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ બંધ રહેશે. આજે રાતથી એસટી સેવા અમદાવાદથી સંપૂર્ણ બંધ રહેશે.

અન્ય જિલ્લાઓથી એસટી સેવા અમદાવાદ નહિ આવે. જો કે રેલવે દ્વારા તમામ ટ્રેનો ટાઇમ ટેબલ અનુસાર દોડાવશે. ટ્રેનના અવર-જવરમાં કોઈ ફેરફાર નથી કરાયો. પરંતુ મુસાફરો સ્ટેશને પહોંચ્યા બાદ ઘરે પહોંચવાની મુશ્કેલીમાં મુકાશે. વિમાની સેવા પણ તેના નિયત સમયપત્રક મુજબ આવન-જાવન કરશે.

અમદાવાદમાં ફરી અઢી મહિના પછી કરફયૂ લદાશે. આજે રાત્રે 9 વાગ્યાથી જનતા કરફયૂની અમલવારી કરાશે. અમદાવાદમાં કોરોનાની સતત વકરી રહેલી સ્થિતીને જોતા આગામી સૂચના ન મળે ત્યાં સુધી રાત્રે 9થી સવારના 6 વાગ્યા સુધી જનતા કરફયૂ લાગૂ રહેશે. જો કે આ નિર્ણય હાલમાં માત્ર અમદાવાદ શહેર પૂરતો જ લાગૂ કરાયો છે.

ઉલ્લેખનીય છે કે કર્ફ્યુ વચ્ચે રાતના સમયે દવાની દુકાન અને દુધના પાર્લર ખુલ્લા રહેશે.