Get The App

ધો. 10ના વિદ્યાર્થીનો આપઘાત કેસ : કિશોરીના પિતા જેલહવાલે

Updated: Jan 25th, 2022

GS TEAM

Google News
Google News
ધો. 10ના વિદ્યાર્થીનો આપઘાત કેસ : કિશોરીના પિતા જેલહવાલે 1 - image

તરૂણીના શિક્ષક પિતા સામે કાર્યવાહી

તરૂણીના પિતાએ મૃતકના પિતાને ફોન કર્યો હતો આપઘાતની ઘટના પાછળના તથ્યો જાણવા તપાસ

અમદાવાદ : ચાંદખેડામાં સીબીએસસી બોર્ડમાં ધો. 10માં ભણતાં 16 વર્ષના તરૂણે ઘરમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આપઘાત માટે તેની સાથે ભણતી ફ્રેન્ડના પિતાએ ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવાઈ હતી.

એસસીએસટી સેલના મહિલા ડીવાયએસપીએ કિશોરીના પિતાની ધરપકડ કરી તપાસ બાદ જેલહવાલે કર્યા છે. બીજી તરફ, આપઘાતની ઘટના પહેલાં તરૂણીના પિતાએ મૃતકના પિતાને ફોન કર્યો હોવાની વિગતો ખૂલી છે.

ચાંદખેડા વિસ્તારમાં રહેતા ધોરણ 10ના વિદ્યાર્થી એવા 16 વર્ષના તરૂણે શનિવારે રાતે 11 વાગ્યે પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પોતાના એકના એક પુત્રને આપઘાત કરવા મજબૂર કરવામાં આવ્યો હોવા અંગે વ્યવસાયે એન્જિનિયર એવા પિતાએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

તપાસ અધિકારી એસસીએસટી સેલના ડીવાયએસપી ખુશ્બુ કાપડિયાએ તરૂણીના શિક્ષક પિતાની ધરપકડ કરી પૂછપરછ કરી મોબાઈલ ફોન કબજે કર્યો હતો. તરૂણીના પિતાને અદાલતે જેલહવાલે કરવા હૂકમ કર્યો છે.

પોલીસ તપાસમાં એવી વિગતો ખૂલી છે કે, આપઘાતની ઘટના બની તે પહેલાં તરૂણીના પિતાએ મૃતક કિશોરના પિતાને ફોન કરીને જાણ કરી હતી. કિશોરે પોતાની ફ્રેન્ડ એવી તરૂણીના પિતાનો ફોન બ્લોક કર્યો હતો.

પોલીસને પ્રાથમિક તપાસમાં જે તથ્યો મળ્યાં છે તે ઊંડી તપાસ માગી લે તેવા છે. પોલીસ હવે તરૂણી અને મૃતક તરૂણના મિત્રો અને અન્ય સ્વજનોના નિવેદનો નોંધી શકે છે. ધોરણ 10ના વિદ્યાર્થી એવા 16 વર્ષના તરૂણે આપઘાત કરવાની સ્થિતિ કયા સંજોગોના કારણે સર્જાઈ તે સ્પષ્ટ કરવા માટે એસસીએસટી સેલ પોલીસ ઊંડાણભરી તપાસ કરી રહી છે.