કેન્સરના લાસ્ટ સ્ટેજમાં હોય એવા ગરીબ દર્દીઓ માટે નિઃશુલ્ક સેવા અને સારવાર
જીવનના છેલ્લા દિવસોમાં દર્દીઓની યોગ્ય કાળજી લેવાય તેવા હેતુથી વડોદરામાં વાઘોડિયા અને પેન્શનપુરામાં 'પેલિએટિવ કેર સેન્ટર'નો પ્રારંભ
વડોદરા : કેન્સર જેવી બીમારી આર્થિક રીતે સમૃધ્ધ પરિવારનોને પણ થકવી નાખે છે ત્યારે ગરીબ પરિવારમાં કોઇને કેન્સર થાય તો શું થાય. કેન્સર છેલ્લા સ્ટેજમાં હોય અને તેની સારવાર શક્ય ના હોય તો આવા દર્દીની સંભાળ માટેનો ખર્ચ ગરીબ પરિવાર ઉઠાવી શક્તો નથી. આ પ્રકારના દર્દીના બાકીના જીવનમાં યોગ્ય કાળજી લેવાય તે માટે વડોદરામાં પેન્શનપુરા અને વાઘોડિયા વિસ્તારમાં પેલિએટિવ કેર (સેવા અને સારવાર) સેન્ટરની શરૃઆત કરવામાં આવી છે.
પેલિએટિવ કેર સેન્ટર અંગે જાણકારી આપતા એસએસજી હોસ્પિટલના ઓન્કોલોજી વિભાગના હેડ ડો.અનિલકુમાર ગોયલે કહ્યું હતું કેે, કેન્સરના છેલ્લા સ્ટેજના એવા દર્દીઓ કે જેમના માટે હવે સારવાર શક્ય નથી અને દર્દીના પરિવારની આર્થિક સ્થિતિ એ હદે નબળી છે કે તેની સંભાળ રાખી શકે તેમ નથી, એવા દર્દીઓને સરકારી હોસ્પિટલમાંથી પેન્શનપુરા અથવા તો વાઘોડિયામાં ૨૫ બેડની સુવિધા ધરાવતા પેલિએટિવ કેસ સેન્ટરમાં મોકલવામાં આવે છે. અહી દર્દીના અંતિમ સમય સુધી સેવા સારવાર કરવામાં આવે છે. બન્ને સેન્ટરો ઉપર ડોક્ટરો સહિત અન્ય સ્ટાફ સેવા આપી રહ્યાં છે ઉપરાંત દર્દીઓને રહેવા જમવાની સુવિધા નિઃશુલ્ક આપવામાં આવે છે.
પેલિએટિવ કેર સેન્ટરના મેડિકલ ઓફિસર ડો.કૃતાર્થ ઝાલાનું કહેવું છે કે, અમારા સેન્ટરમાં એડવાન્સ સ્ટેજના કેન્સરના દર્દીઓની યોગ્ય કાળજી લેવાય છે. તેઓને જરૃરી સારવાર પણ અપાય છે. જે દર્દીઓને કેન્સરથી થતી પીડા અસહ્ય બની જાય તો એસએસજી હોસ્પિટલમાં તેમને લઈ જઈને રેડિએશન આપી પરત અહીં લવાય છે. દર્દીઓને ડાયટ પ્લાન મુજબ ભોજન અપાય છે. ઘરથી અલગ રહે છે અથવા તો એકલા રહે છે તેવી લાગણી ઉભી ના થાય તે માટે દર્દીઓ માટે ઘર જેવું વાતાવરણ ઉભુ કરાય છે જેથી તેમની વેદના ઓછી કરી શકાય ઉપરાંત દર્દીઓનું દુઃખ હળવું કરવા પ્રાર્થના, ગીતો, હળવી રમતો રમાડવામાં આવે છે તો તેઓને હતાશામાંથી બહાર લાવવા મનોવૈજ્ઞાાનિક રીતે મનોબળ મજબૂત કરવાના પણ પ્રયાસો થાય છે'
ઉલ્લેખનીય છે કે એસએસજી હોસ્પિટલ, ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિ.અને સામાજીક સંસ્થાના સંયુક્ત પ્રયાસથી પેલિએટિવ કેર સેન્ટર શરૃ કરાયા છે.