વડોદરા : કરજણના ભેજાબાજોએ સ્વામી નારાયણ મંદિરના રૂ.દસ લાખની નોટો અને કમિશન આપવાની લાલચ આપી રાજકોટના બ્રાહ્મણ પાસેથી સાત લાખ પડાવ્યા
Updated: Aug 25th, 2023
વડોદરા,તા.25 ઓગસ્ટ 2023,શુક્રવાર
વડોદરા જિલ્લાના કરજણ વિસ્તારના ચાર ગઠિયાઓએ રાજકોટના ભૂદેવને એક મંદિરના દસ લાખ રૂપિયાની ચલણી નોટો અને કમિશન આપવા લાલચ આપી હતી અને 70 લાખ રૂપિયા રોકડા લઇ ઉડન છુ થઈ જતા ચારેય ઠગ સામે વિશ્વાસઘત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે.
રાજકોટના શિવાલય એપાર્ટમેન્ટમાં રહેતા 42 વર્ષીય સુનીલ રમણીકભાઇ જોષી કર્મકાંડનો વ્યવસાય કરે છે. તેમને એક મિત્રના દ્વારા કરજણ વિસ્તારમાં રહેતા અનીલ પટેલનો સંપર્ક થયો હતો. અનીલ પટેલે સુનીલ સાથે ઘરોબો બાંધી રોકડાના બદલામાં વધુ રોકડા આપવા લાલચ આપી હતી. અને ગત સત્તરમી તરીકે બપોરે એક વાગ્યે વડોદરા તાલુકાના પોર ગામે આવેલી પેલેસ હોટલ તથા બામણગામ ગ્રામ પંચાયત ઓફીસ પાસે અનીલે સુનીલ સાથે મીટીંગ ગોઠવી હતી. આ મિટિંગમાં (1)અનીલભાઇ પટેલ (2) વેકરિયા (3) અનીલની સ્વીફટ ગાડીના ડ્રાઈવર અને (4) બ્રેઝા ગાડીનો ડ્રાઈવર મળી ચારે વ્યક્તિ ભેગા થયા હતા. ચારેય આરોપીઓએ ભેગા મળી સુનીલને રૂ.500/- ના દરની ચલણી નોટોવાળા રૂ.70,00,00/- રોકડાના બદલામાં સ્વામી નારાયણ મંદિરના રૂ.10,50,100ના દરની ચલણી નોટો આપવા લાલચા આપી ઉપરાંતનોટો બદલવા બદલ 7% કમિશનની લાલચ આપી હતી. તેથી લાલચમાં લપેટાઈને સુનીલે રોકડા રૂ.70,00,000/- આપ્યા હતા. તે પછી ચારેય આરોપીઓનો સંપર્ક કરતા તેમના તરફથી કોઈ જવાબ નહી આવતા છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં સુનીલે ચારેય સામે વિશ્વાસઘાત અને ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી.
બ્રિજેશ નામના મિત્ર દ્વારા સંપર્ક થયો હતો
રાજકોટમાં રહેતા સુનીલ જોષીના એક મિત્ર બ્રિજેશ પર સુનીલને વિશ્વાસ હતો. બ્રિજેશના પપ્પા અનીલને ઓળખતા હતા. તેને કારણે બ્રિજેશે સુનીલને અનીલ સાથે ઓળખાણ કરાવી હતી. અને લાલચમાં આવી માતભર રકમ ગુમાવી દીધી હતી.
ઠગ અને મંદિરનું નામ પણ ઉપજાવી કાઢ્યું હશે : તપાસ અધિકારી
વડોદરા તાલુકાના પોર ગામે આવેલી પેલેસ હોટલ તથા બામણગામ ગ્રામ પંચાયત ઓફીસ પાસે અનીલે સુનીલને બોલાવી મિટિંગ ગોઠવી હતી. જેમાં ઠગે આપેલા પોતાના નામ અને જે મંદિરનું નામ આપ્યું છે. તે બંને ઉપજાવી કાઢ્યા હશે. તેમ કેસના તપાસ અધિકારીએ જણાવ્યું હતું. આ આરોપી કોણ છે ? તેની સાચી ઓળખ મેળવવા સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવી રહ્યા છે.