પૂર્વ DG શ્રીકુમારની હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી
વૈજ્ઞાનિક પર જાસૂસીનો કેસ ઉભો કરવાના આરોપમાં
CBIને કોર્ટની નોટિસ : ૨૮મી સુધી આર.બી. શ્રીકુમારની ધરપકડ ન કરવા કોર્ટનો નિર્દેશ
અમદાવાદ, મંગળવાર
ઇસરોના વૈજ્ઞાનિક નામ્બી નારાયણ પર વર્ષ ૧૯૯૪માં જાસૂસીનો
ખોટો કેસ ઉભો કરવાના આરોપમાં ગુજરાતના પૂર્વ ડી.જી.પી. અને ઇન્ટેલિજન્સ બ્યુરોના
તત્કાલિકન ડેપ્યુટી ડિરેક્ટર આર.બી. શ્રીકુમારે ટ્રાન્ઝીટ આગોતરા જામીન માટે
ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન કરી છે. કોર્ટે સી.બી.આઇ.ને નોટિસ પાઠવી
આગામી સુનાવણી ૨૮મી જુલાઇના રોજ નિયત કરી છે. ત્યાં સુધી આરબી. શ્રીકુમારની ધરપકડ
ન કરવા નિર્દેશ અપાયો છે.
આ કેસની વિગત એવી છે કે ગુજરાતના પૂર્વ ડી.જી. આર.બી.
શ્રીકુમાર વર્ષ ૧૯૯૪માં કેન્દ્ર સરકારમાં ડેપ્યુટેશન પર હતા અને ઇન્ટેલિજન્સ
બ્યુરોના ડેપ્યુટી ડિરેક્ટરનો ચાર્જ સંભાળી રહ્યા હતા ત્યારે ઇસરોના વૈજ્ઞાાનિક
નામ્બી નારાયણની જાસૂસીના ખોટાં કેસમાં ધરપકડ કરવામાં આવી હતી અને તપાસના બે વર્ષ
બાદ તેમને નિર્દોષ છોડવામાં આવ્યા હતા. નામ્બી નારાયણ તેમની પ્રતિષ્ઠા પરત મેળવવા
સુપ્રીમ કોર્ટ સુધી લડયા હતા અને બે વર્ષ પહેલાં સુપ્રીમ કોર્ટે તેમને વળતર આપવા
અને આ કેસમાં ગેરરીતિમાં સામેલ પોલીસ અધિકારીઓ સામે તપાસ કરવા સી.બી.આઇ.ને નિર્દેશ
આપ્યો હતો.
જેથી સી.બી.આઇ.એ થોડાં દિવસો પહેલાં આર.બી. શ્રીકુમાર, કેરળના
પૂર્વ ડી.જી. સિબી મેખ્યુ સહિત ૧૮ પોલીસ અધિકારીઓ સામે એફ.આઇ.આર. નોંધી હતી. આ
કેસમાં ટ્રાન્ઝીટ આગોતરા જામીન મેળવવા આર.બી. શ્રીકુમારે હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરી
હતી કે કેસની ફરિયાદ દિલ્હીમાં નોંધાઇ તેમજ કેસ ૧૯૯૪નો છે અને આવી જ રીતે અન્ય
સહઆરોપીઓને કેરળ હાઇકોર્ટે ધરપકડથી રક્ષણ આપ્યું છે. જેથી કોર્ટે સી.બી.આઇ.ને
નોટિસ પાઠવી જવાબ રજૂ કરવા નિર્દેશ કર્યો છે અને અરજદારને ધરપકડ સામે વચગાળાનું
રક્ષણ આપ્યું છે.