Get The App

કચેરીમાં મોડા આવતાં તલાટી, શિક્ષક ઉપરાંત ગ્રામસેવકને નોટિસ ફટકારાઇ

Updated: Jan 21st, 2024

GS TEAM

Google News
Google News
કચેરીમાં મોડા આવતાં તલાટી, શિક્ષક ઉપરાંત ગ્રામસેવકને નોટિસ ફટકારાઇ 1 - image


ગાંધીનગર જિલ્લા પંચાયતના સભ્યો દ્વારા રજુઆતને પગલે

સ્વચ્છતાપીવાના પાણી અને રજીસ્ટર નિભાવવા મુદ્દે આચાર્યતલાટી અને આરોગ્ય કર્મચારીને તંત્ર દ્વારા ટકોર કરવામાં આવી

ગાંધીનગર :  એક પખવાડિયા પહેલા જિલ્લા કચેરીઓમાં ચાલતી લાલિયાવાડી મુદ્દે જિલ્લા પંચાયતના સભ્યો દ્વારા કરવામાં આવેલી ફરિયાદના સંબંધમાં જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આકસ્મિક તપાસ કરાવવામાં આવી હતી. હવે તેના સંબંધમાં કચેરીમાં મોડા આવનાર ત્રણ તલાટી, ત્રણ શિક્ષક ઉપરાંત એક ગ્રામસેવકને નોટિસ ફટકારાઇ છે. જ્યારે સ્વચ્છતા, પીવાના પાણી અને રજીસ્ટર નિભાવવા મુદ્દે આચાર્ય, તલાટી અને આરોગ્ય કર્મચારીને તંત્ર દ્વારા ટકોર કરાઇ હતી.

ગત તારીખ ૩ જાન્યુઆરીના રોજ  ગ્રામ્ય કક્ષાએ અંધેર વહીવટ ચાલી રહ્યાંની ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા જ કરવામાં આવેલી ફરિયાદનો પડઘો પડયો હોય તેમ અચાનક જ ગાંધીનગર અને કલોલ તાલુકાના આઠ ગામડામાં જિલ્લાના અધિકારીઓને મોકલીને દવાખાના, પંચાયત, શાળા, આંગણવાડી, આરોગ્ય કેન્દ્ર અને પશુ ચિકિત્સા કેન્દ્રમાં કર્મચારીની હાજરી અને સ્વચ્છતા સહિતની બાબતે આકસ્મિક તપાસ કરાવાતા ફફડાટ ફેલાઇ ગયો હતો.જિલ્લા વિકાસ અધિકારી દ્વારા અધિકારીઓ પાસેથી તે દિવસે જ તપાસનો અહેવાલ મેળવી લેવાયો હતો. પરંતુ ત્યાર બાદ સચિવલાયથી સ્થાનિક કક્ષા સુધીના અધિકારીઓ અને તંત્ર વાઇબ્રન્ટ સમિટમાં વ્યસ્ત બન્યા હતાં.આખરે જિલ્લા પંચાયત દ્વારા ઉપરોક્ત અહેવાલના સંબંધમાં પગલા ભરવામાં આવ્યાં છે. તેમાં ત્રણ શિક્ષક અને ત્રણ તલાટી સહિત સાત કર્મચારીઓને નોટિસ આપવાની સાથે ખુલાસા પૂછવામાં આવતાં જિલ્લા પંચાયત વર્તુળમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બની ગયો હતો.

જિલ્લા પંચાયત દ્વારા ક્યા ક્યા મુદ્દે ગંભીર નોંધ લેવામાં આવી

ડભોડા ગ્રામ પંચાયતમાં તલાટી મોડા આવતા નોટિસ અપાઇ હતી. જ્યારે ગ્રામસેવકને હાજરી મુદ્દે સુચના અપાઇ હતી. આંગણવાડીમાં ગંદકી અને પાણીની બંધ આરઓ સિસ્ટમ મુદ્દે ખુલાસો પૂછાયો હતો. અડાલજમાં ગ્રામ પંચાયતમાં મોડા આવતા તલાટી કમ મંત્રી અને પ્રાથમિક શાળાના ત્રણ શિક્ષકોને પણ મોડા આવવા બદલ નોટીસ અપાઇ હતી. જ્યારે સામુહિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓને રજીસ્ટરમાં હાજરી પુરવા સુચના અપાઇ હતી. રૃપાલ ગામમાં સ્વચ્છતા અને પીવાના પાણીની વ્યવસ્થા મુદ્દે પ્રાથમિક શાળાના આચાર્યને સુચના અપાઇ છે. જ્યારે વડા ગામના તલાટીને મુવમેન્ટ સહિત રજીસ્ટર નિભાવવાને લઇને સુચના અપાઇ હતી. જ્યારે દોલારાણા વાસણા ગામના તલાટીનો મોડા આવવા સબબ અને ગેરહાજરી બદલ ગ્રામસેવકને બદલ નોટિસ ફટકારવામાં આવી હતી.

Tags :