ધો.1માં છ વર્ષે પ્રવેશના નિયમથી 3 લાખ બાળકને અસર , આ બાળકો માટે બાલવાટીકા બનશે
પ્રીપ્રાયમરીમાં ત્રીજુ વર્ષ ઉમેરવા સરકારની યોજના
૧લી જુને છ વર્ષ પુરા ન કરનારા બાળકો માટે તમામ સ્કૂલોમાં નવા શૈક્ષણિક વર્ષથી બાલવાટિકાઓ બનશે
અમદાવાદ
ધો.૧માં
પ્રવેશ માટે આગામી શૈક્ષણિક વર્ષથી છ વર્ષનો નિયમ લાગુ થનાર છે અને ૧લી જુને છ
વર્ષ પુરા ન થયા હોય તેવા બાળકોને ધો.૧માં પ્રવેશ નહી મળે ત્યારે આ નવા નિયમથી
રાજ્યના અંદાજે ૩ લાખ જેટલા બાળકોને અસર થનાર છે. પરંતુ રાજ્ય સરકાર હવે પાંચથી-છ
વર્ષના આ બાળકો માટે પ્રીપ્રાયમરીમાં ત્રીજુ વર્ષ ઉમેરવાની યોજના ઘડી રહી છે અને
ત્રીજા વર્ષ તરીકે આ બાળકોએ ધો.૧ પહેલા બાલવાટિકામાં ભણવુ પડશે. સરકારી અને ખાનગી
સહિતની તમામ સ્કૂલોમાં બાલવાટિકાઓ બનાવાશે.
રાજ્ય સરકારે
ગત ૨૦૨૦માં નોટિફિકેશન કરીને આરટીઈ એક્ટમાં સુધારા રૃપે ધો.૧માં પ્રવેશ માટે છ
વર્ષનો નિયમ ફરજીયાત કર્યો છે.જો કે આ નિયમ જુન ૨૦૨૩થી લાગુ થનાર છે.૨૦૨૦-૨૧,૨૦૨૧-૨૨
અને ૨૦૨૨-૨૩ એમ ત્રણ શૈક્ષણિક વર્ષ માટે આ નિયમનો અમલ થયો ન હતો અને છ વર્ષ પુરા ન
થયા હોય તેવા બાળકોને પણ ધો.૧માં પ્રવેશ અપાયો છે.જો કે હવે જુન ૨૦૨૩થી આ નિયમનો
ફરજીયાત અમલ થનાર છે ત્યારે હાલ વિવિધ જિલ્લામાં વાલીઓ દ્વારા આ નિયમમાં છુટ આપવા
અને આ વર્ષ પુરતુ ૧લી જુને છ વર્ષ પુરા ન થયા હોય તેવા બાળકોને પણ ધો.માં પ્રવેશ
આપવાની માંગ કરવામા આવી છે.જો કે નિયમમાં છુટ કે રાહત આપવાની સરકારની કોઈ યોજના
નથી પરંતુ વૈકલ્પિક વ્યવસ્થા રૃપે રાજ્ય સરકાર ધો.૧ પહેલા બાલવાટિકાનો અભ્યાસ દાખલ
કરવાની યોજના બનાવી રહી છે.આ નવા નિયમથી અંદાજે ૩ લાખથી વધુ બાળકોને અસર થાય તેમ
છે કે જેઓને જુનિયર કેજી અને સીનિયર કેજી પુરુ કર્યા બાદ પણ ૧લી જુને છ વર્ષ પુરા
ન થતા હોય કે છ વર્ષમાં થોડા દિવસો બાકી હોય.
આ નવા નિયમથી
ધો.૧માં વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ મોટા પ્રમાણમાં ઘટે તેમ હોવાથી શિક્ષકો ફાજલ
થવાનો પણ પ્રશ્ન ઉપસ્થિત થાય તેમ છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા બાલવાટિકામાં આ
બાળકોને ભણાવાશે અને જેઓને ધો.૧થી૫ના જ શિક્ષકો ભણાવશે.જેથી તેઓનો ફાજલ થવાનો
પ્રશ્ન નહીં આવે. રાજ્ય સરકાર દ્વારા તમામ સ્કૂલોમાં બાલવાટિકા બનાવવા માટે
નિયમો-ગાઈડલાઈન તૈયાર કરાશે અને પ્રી પ્રાયમરી સાથે બાલવાટિકાને જોડી દેવાશે એટલે
કે નવી શિક્ષણ નીતિ અંતર્ગત હવે પ્રીપ્રાયમરીમાં ત્રીજુ વર્ષ બાળકોને ભણાવાશે.જો
કે થોડા દિવસ બાકી હશે તો પણ બાળકોને એક વર્ષ માટે બાલવાટિકામાં ભણાવવા પડતા
વાલીઓને ફીનો બોજો પડશે અને એક વર્ષ બગડશે. બાલવાટિકા માટેની ફીના ધોરણથી માંડી
પ્રવેશના નિયમો પણ નક્કી કરવા પડશે.