વડોદરા: ઢાઢર નદીમાં પૂરની પરિસ્થિતિ: 22 ગામોને ચેતવણી: કોઝ વે પર પાણી ફરી વળ્યા
વડોદરા,તા.12 જુલાઈ 2022,મંગળવાર
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઢાઢર નદી જ્યાં થી પસાર થાય છે એ વિસ્તારના પ્રાંત અધિકારીઓ અને મામલતદારો ને તાકીદની સૂચના આપવામાં આવી છે. જિલ્લા કલેકટર અતુલ ગોર દ્વારા આ અધિકારીઓને તકેદારીના તમામ પગલાં લેવા અને નદીકાંઠાના વિસ્તારોની નિરીક્ષણ મુલાકાત લઈને પરિસ્થિતિની સમીક્ષા કરવા સૂચના આપી છે.
નદી કાંઠાના રહીશોને સાવધ કરવા અને અસરગ્રસ્ત થવાની શક્યતા વાળા તમામ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવા જણાવવામાં આવ્યું છે.
લોકોને પણ ઢાઢર નદી કાંઠે ન જવા, તટમાં ઉપસ્થિત ન રહેવા, ઢોર ન ચરાવવા અને ભય જણાય તો સલામત સ્થળે ખસી જવા ઉપરાંત તંત્રને સહયોગ આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.
પાણીની આવક વધતા હાલોલ તાલુકામાં આવેલાં દેવ નદી પરના દેવ ડેમમાં થી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.
હાલમાં ગેટ નં.૨,૩,૬અને ૭ ને ૧.૨ મીટર અને ૪અને ૫ ને ૧.૫ મીટર જેટલા ખુલ્લા રાખીને ૨૪૫૦૪ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
દેવ નદી આગળ જઈને ઢાઢર નદીને મળે છે.જેને અનુલક્ષીને દેવ અને ઢાઢર કાંઠે આવેલા વડોદરા જિલ્લાના ગામોમાં એલર્ટ રહેવા અને સલામત સ્થળ પર ખસી જવા અનુરોધ કરવામાં આવ્યો છે.
ઢાઢર નદીથી અસરગ્રસ્ત ગામોમાં કરજણ તાલુકાના
(૧) ખેરડા (૨) હરસુંડા (૩) પિંગલવાડા (૪) માનપુર (૫) સુરવાડા (૬) સંભોઈ (૭) અભારા (૮) વિરજાઈ (૯) ઉમજ
પાદરા તાલુકાના
(૧) કોઠવાડા (૨) કોટણા અને વડોદરા ગ્રામ્યના (૧) ઉટીયા (ર) તલસટ (૩) ચાપડ (૪) ગોસીંદ્રા (૫) ખલીપુર (૬) કેલનપુર (૭) પોર (૮) રાધવપુરા (૯) રમણગામડી (૧૦) વોરાગામડી. (૧૧) પાતરવણી નો સમાવેશ થાય છે.
વ્યારા દેવનદીમાં પાણી આવવા ક્રોઝવે પર પાણી ફરી વળતા ડભોઈ તરફ જવાનો રસ્તો બંધ કરાયો વહીવટ તંત્રએ એલર્ટ કરતાં વ્યારા ક્રોઝવે પર બેરિકેટ લગાડી દીધા જેના કારણે ભયજનક વહેતા પાણીમાં કોઈ પ્રસાર થાય નહી.