બિપરજોય વાવાઝોડાને પગલે વડોદરામાં ફાયર બ્રિગેડ,આર્મી,NDRF અને SRP તૈયાર
વડોદરાઃ સૌરાષ્ટ્ર અને કચ્છ તરફ આવી રહેલા વિનાશક વાવાઝોડા બિપરજોયને પગલે વડોદરામાં અસર ઓછી વર્તાય તેવી સંભાવના હોવા છતાં તંત્ર દ્વારા સતર્કતા રાખવામાં આવી છે.
મધ્ય-પૂર્વ અરબી સમુદ્રમાં સર્જાયેલું વાવાઝોડું કચ્છ-સૌરાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું હોવાથી તંત્રને સાબદું કરવામાં આવ્યું છે.વડોદરામાં પણ વાવાઝોડા અને વરસાદની અસર વર્તાય તેવી શક્યતાને કારણે કોઇ પણ સ્થિતિને પહોંચી વળવા માટે વહીવટીતંત્ર દ્વારા બેઠકોનો દોર શરૃ કરવામાં આવ્યો છે.
વાવાઝોડાને કારણે વડોદરા ફાયર બ્રિગેડ અનેઆર્મી,એસઆરપી તેમજ એનડીઆરએફ ના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે સંકલન કરવામાં આવ્યું છે.અધિકારીઓ રાજ્ય સરકારના સંપર્કમાં રહી રણનીતિ નક્કી કરી રહ્યા છે.
વડોદરા ફાયર બ્રિગેડના ઇન્ચાર્જ ફાયર ઓફિસરે કહ્યું હતું કે,વાવાઝોડાને કારણે અન્ય અસરગ્રસ્ત સ્થળોએ મદદરૃપ થવાની પણ તૈયારી રાખવામાં આવી છે.આ માટે ફાયર બ્રિગેડના તમામ અધિકારીઓ અને જવાનોની રજાઓ રદ કરવામાં આવી છે. જ્યારે,ફાયરના સાધનોને પણ સજ્જ કરવામાં આવ્યા છે.
વડોદરા જિલ્લામાં તલાટીઓ અને ટીડીઓને હેડક્વાર્ટર નહિં છોડવા સૂચના,કંટ્રોલરૃમ કાર્યરત
વડોદરા જિલ્લામાં પણ વાવાઝોડા અને વરસાદને કારણે કોઇ ગંભીર સ્થિતિ સર્જાય તો તેને પહોંચી વળવા માટે પગલાં લેવામાં આવ્યા છે.
વડોદરા જિલ્લાના તમામ તાલુકા વિકાસ અધિકારીઓ અને તલાટીઓને હેડક્વાર્ટર નહિં છોડવા માટે સૂચના આપવામાં આવી છે તેમજ ગામના આગેવાનો સાથે સંકલનમાં રહેવા જાણ કરાઇ છે.
હાલમાં જ ચાર્જ લેનાર વડોદરા જિલ્લા વિકાસ અધિકારીએ જિલ્લા પંચાયતમાં ચોવીસ કલાક કાર્યરત કંટ્રોલરૃમ શરૃ કરાવ્યો છે.આ કંટ્રોલરૃમ ચોમાસુ પુરૃં થાય ત્યાં સુધી ચાલુ રહેશે.