વર્ષે બે લાખ ચક્ષુની જરૃરિયાત સામે સરેરાશ માત્ર ૭૦ હજાર ચક્ષુદાન
-આજે 'વિશ્વ નેત્રદાન દિવસ'
-ગુજરાતમાં એક વર્ષમાં ૫૪૦૦ ચક્ષુદાન થયા : કીકીના રોગને કારણે અંધત્વના પ્રમાણમાં ચિંતાજનક રીતે સતત વધારો
અમદાવાદ, શુક્રવાર
દ્રષ્ટિ વિના
જીવન જીવવું કેટલું કપરું હોય છે તે સમજવું હોય તો માત્ર થોડી મિનિટ માટે રોજબરોજની
પ્રવૃત્તિ કરી જોવાથી તેનો અંદાજ આવી જશે. દેશમાં વર્ષે બે લાખ ચક્ષુઓની જરૃરિયાત સામે
સરેરાશ ૭૦ હજાર જેટલા ચક્ષુદાન પ્રાપ્ત થાય છે. આ પૈકી ૩૫ થી ૪૦ ટકા જેટલા ચક્ષુઓ જ
કીકી પ્રત્યારોપણ માટે ઉપયોગમાં આવી શકે છે. ગુજરાતમાં ચક્ષુદાનનું પ્રમાણ ૫૦ ટકા થી
૫૫ ટકા જેટલું છે. આવતીકાલે 'વિશ્વ નેત્રદાન દિવસ' છે ત્યારે ગુજરાત અને દેશમાં હજુ
પણ ચક્ષુદાન ક્ષેત્રે જાગૃતિની આવશ્યક્તા રહેલી છે.
કેન્દ્ર સરકારના
વર્ષ ૨૦૧૯ના અહેવાલ અનુસાર કુલ અંધત્વના ૭.૪% કીકીના રોગોને કારણે જોવા મળે છે. કીકીના
રોગોને કારણે થતા અંધત્વના મુખ્ય કારણોમાં ઇજા, ચેપ, કુપોષણ, વિટામીન એ ની ખામી તથા
જન્મજાત ખોડ વગેરેનો સમાવેશ થાય છે. રોગગ્રસ્ત કીકીની પારદર્શકતા ઘટી જતા દર્દીની દ્રષ્ટિ
ઘટી જાય છે અને અંતમાં દર્દીને દેખાતું બંધ થઇ જાય છે. કીકીના રોગોને કારણે થતા અંધત્વના
પ્રમાણમાં ઉત્તરોઉત્તર વધારો થઈ રહ્યો છે. દેશમાં કીકીના રોગોને કારણે હાલમાં ૨ લાખ
જેટલા વ્યક્તિઓ પ્રજ્ઞાાચક્ષુ છે અને દર વર્ષે ૨૦,૦૦૦ જેટલા નવા કેસો સતત ઉમેરાતા રહે
છે.
ગુજરાતનો અંધત્વનો દર ૦.૯%થી ઘટીને ૦.૩% જેટલો થયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. વર્ષ ૨૦૨૫ સુધીમાં રાજ્યમાં અંધત્વ દર ૦.૨૫% સુધી લઇ જવાનો લક્ષ્યાંક છે. વર્ષ ૨૦૨૨-૨૩ દરમ્યાન કેન્દ્ર સરકાર દ્વારા 'રાષ્ટ્રીય નેત્રજ્યોતિ અભિયાન' અંતર્ગત રાજ્યને ફાળવવામાં આવેલ ૧.૨૬ લાખ મોતિયાના ઓપરેશનની સામે રાજ્યમાં ૬,૨૬,૬૩૮ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યા હતા.ગુજરાતમાં હાલ હ્યુમન ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશન એક્ટ હેઠળ ૩૩ આઇ બેંક, ૬૬ આઇ ડોનેશન સેન્ટર, ૬ કીકી પ્રત્યારોપણ કેન્દ્રો કાર્યરત છે. તજજ્ઞાોના મતે દાનમાં આવેલા જે ચક્ષુ અન્યમાં પ્રત્યારોપણ કરી શકાય એમ ન હોય તેનો ઉપયોગ ઓપ્થેલ્મોલોજીનો અભ્યાસ માટે કરતા વિદ્યાર્થીઓના રીસર્ચ માટે થાય છે. ગુજરાતમાં વર્ષ ૨૦૨૨-૨૩માં ૫૪૦૦ જેટલા ચક્ષુદાન થયા હતા.
અમદાવાદની અસારવા
સિવિલ હોસ્પિટલનાં પ્રોફેસર ઓફ ઓપ્થેલ્મોલોજી ડો. જાગૃતિ એન. જાડેજાએ જણાવ્યું કે,
'કોરોના વખતે વિવિધ ગાઇડલાઇન્સને પગલે દેશની અન્ય હોસ્પિટલ જેમ સિવિલમાં આંખના ડોનેશનના
પ્રમાણમાં ઘટાડો થયો હતો. જોકે, હવે ફરી ચક્ષુદાનનું પ્રમાણ હવે ફરી વધવા લાગ્યું છે.
૨૦૨૦માં ૧૧૬, ૨૦૨૧માં ૧૭૭ અને ૨૦૨૨માં ૨૭૫ ચક્ષુ દાનમાં મળ્યા હતા. અકસ્માતમાં થયેલી
આંખની ઇજા, અલ્ઝાઇમર, આંખની કીકીમાં જીવન દરમ્યાન લાગેલ ચેપના કારણે ફુલુ પડી ગયેલ
હોઇ તેવા કિસ્સામાં ચક્ષુદાન થઇ શકતા નથી. ગત વર્ષે મળેલા ૨૭૫ ચક્ષુના દાનમાંથી ૧૦૦
જેવી સર્જરી થયેલી છે. ચક્ષુદાન અંગે હજુ પણ જાગૃતિ વધે તે જરૃરી છે. '
આધુનિક ટેકનોલોજી
દ્વારા એક વ્યક્તિના ચક્ષુદાનથી ૩થી ૪ વ્યક્તિઓને અલગ-અલગ પ્રકારની કીકી પ્રત્યારોપણની
પદ્ધતિ દ્વારા દ્રષ્ટિ આપી શકાય છે.
ચક્ષુદાન કરવા
માંગો છો?ધ્યાનમાં રાખવા જેવી બાબતો...
ચક્ષુદાન એટલે
શું? કોણ કરી શકે?
કોઇ પણ વ્યક્તિ
મૃત્યુ બાદ એના ચક્ષુ દાનમાં આપી શકે છે. આ માટે તે જીવન દરમ્યાન ચક્ષુદાન અંગેનો સંકલ્પ
કરી શકે છે. જો કોઇ વ્યક્તિએ જીવન દરમ્યાન સંકલ્પ ન કરેલ હોય તોપણ તેના મૃત્યુ બાદ
તેના વારસદારો આ અંગેનો નિર્ણય લઇ શકે છે.
કોઇ ઉંમર બાધ છે?
કોઇ પણ ઉંમરની
વ્યક્તિ મૃત્યુ બાદ એના ચક્ષુ દાનમાં આપી શકે છે. યુવાન વ્યક્તિઓની કીકીની ગુણવતા ખૂબ
જ સારી હોય છે, જેથી કીકી પ્રત્યારોપણ બાદ ખૂબ જ સારા પરિણામ મેળવી શકાય છે.
મૃત્યુ બાદ કેટલા
સમયમાં થવું જોઇએ?
વ્યક્તિના મૃત્યુ
બાદ જેટલું બને તેટલું જલ્દીથી ચક્ષુદાન થઇ જવું જોઇએ. દાનમાં મળેલ ચક્ષુની ગુણવતા
જળવાઇ રહે અને તેનો મહત્તમ ઉપયોગ કીકી પ્રત્યારોપણમાં થઇ શકે તે હેતુસર મૃત્યુ બાદ
૨થી ૪ કલાકની અંદર ચક્ષુદાન થઇ જાય તે હિતાવહ છે.
કેવા સંજોગોમાં ન થઇ શકે?
ખાસ કિસ્સા જેવા કે, અકસ્માતમાં થયેલ આંખની ઇજા,
આંખની કીકીમાં જીવન દરમ્યાન લાગેલ ચેપના કારણે ફુલુ પડી ગયેલ હોઇ તેવા કિસ્સામાં ચક્ષુદાન
ન થઇ શકે.
ચક્ષુદાન માટે
કોનો સંપર્ક કરવો?
ચક્ષુદાન કરવા
માટે જે-તે વ્યક્તિ પોતાના રહેઠાણની નજીકના કોઇ પણ સરકારી હોસ્પિટલનો સંપર્ક કરી શકે
છે.
ચક્ષુદાન સ્વીકારાય
ત્યાં સુધી શું કાળજી લેવી જોઇએ?
મૃત્યુ થયા બાદ
વ્યક્તિના આંખના પોપચા બંધ કરીને તેને ભીના રૃમાલ વડે કવર કરી રાખવા જોઇએ. રૃમમાં પંખો
બંધ કરી દેવો. ચક્ષુ સ્વીકારવા માટે ટીમ આવે ત્યાં સુધીમાં દર્દીના મૃત્યુના લગતા તમામ
તબીબી રિપોર્ટ એકઠા કરી રાખવા. આ ઉપરાંત દર્દીનું કોઇ પણ પ્રકારનું ઓળખપત્ર સાથે રાખવું
જોઇએ.
ચક્ષુદાન માટે
રિયલ ટાઇમ ટ્રેકિંગ
ચક્ષુદાનમાં મળેલા
ચક્ષુની ગુણવત્તા જળવાયેલી રહે અને દાનમાં મળેલા આ ચક્ષુ દ્વારા મહત્તમ ચક્ષુઓનું કીકી
પ્રત્યારોપણ થઇ શકે માટે વેબ પોર્ટલ ઉભું કરનારું ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે. જેમાં
રાજ્યના આઇ ડોનેશન સેન્ટર, આઇ બેંક, કીકી પ્રત્યારોપણ
કેન્દ્રને આવરી લેવાશે. આ ઉપરાંત ચક્ષુદાતા પાસેથી ચક્ષુદાન પ્રાપ્ત થવાથી લઇને કીકી
પ્રત્યારોપણ સુધીનું રીયલ ટાઇમ ટ્રેકિંગ કરાશે.