Get The App

નેશનલ ગ્ર્રીન ટ્રિબ્યુનલે અલ્ટ્રાટેકની બે કંપનીના પર્યાવરણ ક્લિયરન્સ રદ કર્યા

Updated: Feb 26th, 2022

GS TEAM

Google News
Google News
નેશનલ ગ્ર્રીન ટ્રિબ્યુનલે અલ્ટ્રાટેકની બે કંપનીના પર્યાવરણ ક્લિયરન્સ રદ કર્યા 1 - image

50 હેક્ટરથી વઘુ વિસ્તાર હોય તો કેન્દ્રીય મંત્રાલયની મંજૂરી જરૂરી

અમરેલીમાં લાઇમસ્ટોન માઇનિંગ માટે બે પ્રોજેક્ટ અલગ કરી ગુજરાતની ઓથોરિટી દ્વારા કંપનીએ ઇસીની મંજૂરી લીધી હતી

ગાંધીનગર : ગુજરાત સ્ટેટ એન્વાયર્નમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ ઓથોરિટી દ્વારા અલ્ટ્રાટેક સિમેન્ટ અને તેની પેટાકંપની નર્મદા સિમેન્ટને અમરેલી જિલ્લાના જાફરાબાદના બાબરકોટમાં લાઇમસ્ટોન માઇનિંગ માટે આપવામાં આવેલા બે પર્યાવરણીય ક્લિયરન્સ પ્રમાણપત્રો રદ કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી નેશનલ ગ્ર્રીન ટ્રિબ્યુનલ (એનજીટી) ની પશ્ચિમ ઝોનની બેન્ચે કરી છે.

ટ્રિબ્યુનલની બેન્ચે આ પ્રકરણમાં વિસ્તારનો મુદ્દો ઉઠાવ્યો છે અને કહ્યું છે કે આ વિસ્તાર 50 હેક્ટરથી વધારે છે. અને જો વિસ્તાર વધારે હોય તો કંપનીએ રાજ્યની ઓથોરિટીની નહીં પરંતુ કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રાલયની મંજૂરી લેવાની હોય છે, કારણ કે 50 હેક્ટરથી વધુ વિસ્તાર એ-કેટેગરીનો પ્રોજેક્ટ ગણવામાં આવે છે. જો બન્ને પ્રોજેક્ટને અલગ ગણવામાં આવે તો પણ તે હાલના પ્રોજેક્ટનું વિસ્તરણ છે અને તેમાં પણ કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રાલય દ્વારા મૂલ્યાંકન કરવું પડશે.

આ નિર્ણય બે અપીલના જવાબમાં આપવામાં આવ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે ઇસીની ગ્ર્રાન્ટ કાયદાનું ઉલ્લંઘન છે કારણ કે ખાણનો વિસ્તાર 50 હેક્ટરથી વધુ હતો. અપીલકર્તાના જણાવ્યા પ્રમાણે પર્યાવરણીય મંજૂરીની માંગ કરતી વખતે એ-કેટેગરી વર્ગીકરણને દૂર કરવા ખાણને બે ભાગમાં વહેંચવામાં આવી હતી.

બન્ને કંપનીઓ પાસે આ જ વિસ્તારમાં 565.93 હેક્ટરમાં હાલની માઇનિંગ લીઝ પણ છે.અપીલમાં એવું જણાવવામાં આવ્યું હતું કે પર્યાવરણીય મંજૂરી કાયદાની યોગ્ય પ્રક્રિયાને અનુસર્યા વિના પર્યાવરણ જેવા સંવેદનશીલ વિસ્તારમાં આપવામાં આવી હતી જે એશિયાટીક સિંહોના નિવાસસ્થાનનો વિસ્તાર છે કે જેમાં કોઇ વન્યજીવ સંરક્ષણ યોજના નથી. અપીલમાં વધુમાં એવું પણ કહ્યું હતું કે પ્રોજેક્ટનું મૂલ્યાંકન કલસ્ટર તરીકે હોવું જોઇએ.

ટ્રિબ્યુનલે 30મી જૂન 2021માં કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રાલયના ત્રણ નોમિની, ઓથોરિટીના ગુજરાતના ચેરમેન, જીપીસીબી, સીપીસીબી, ગુજરાતના ચીફ વાઇલ્ડલાઇફ વોર્ડન અને અમરેલી જિલ્લા મેજીસ્ટ્રેટનો સમાવેશ કરતી આઠ સભ્યોની સંયુક્ત ફેક્ટ ફાઇન્ડીંગ કમિટીની નિયુક્તિ કરી હતી. જો કે અલ્ટ્રાટેક સિમેન્ટ અને નર્મદા સિમેન્ટ કંપનીએ તેનો વિરોધ કરી કહ્યું હતું કે આવી કોઇ સમિતિની તપાસની જરૂર નથી, કેમ કે પર્યાવરણની મંજૂરી માન્ય છે.

આમ છતાં ટ્રિ2બ્યુનલે તેના આદેશમાં ફેક્ટ ફાઇન્ડીંગ કમિટીની રજૂઆત પર આધાર રાખ્યો હતો.કંપનીએ બે ખાણોને 600 મીટરના પટ દ્વારા અલગ કરી હતી જે 49.84 હેક્ટર વિસ્તારમાં વહેંચાયેલી હતી. આથી બેન્ચે તારણ કાઢયું હતું કે બન્ને ખાણ ક્ષેત્રો એ કુલ ખાણ ક્ષેત્રનો અભિન્ન હિસ્સો છે જે 50 હેક્ટરથી વધારે છે તેથી માની શકાય નહીં.