Gujarat

બુધવારે વહેલી સવારની ઘટના, નરોડા-દહેગામ રોડ ઉપર લાકડાની ફેકટરીમાં ભીષણ આગથી જથ્થો ખાખ

By GS Team
29 Dec 20211 min read
This article was originally published on 29 Dec 2021
બુધવારે વહેલી સવારની ઘટના, નરોડા-દહેગામ રોડ ઉપર લાકડાની ફેકટરીમાં ભીષણ આગથી જથ્થો ખાખ

  અમદાવાદ,બુધવાર,29 ડીસેમ્બર,2021

બુધવારે વહેલી સવારે પાંચના સુમારે નરોડા-દહેગામ રોડ ઉપર આવેલી લાકડાની ફેકટરીમાં અગમ્ય કારણોસર ભીષણ આગ લાગતા ફેકટરીમાં રાખવામાં આવેલો લાકડાનો તમામ જથ્થો આગના કારણે બળીને ખાખ થઈ જવા પામ્યો હતો.ફાયર વિભાગના અધિકારીઓ અને જવાનોએ સમયસૂચકતા વાપરતા માત્ર એક કલાકની અંદર આગને કાબૂમાં લઈ શકાઈ હતી.આ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાની થવા પામી ના હોવાનું ફાયર વિભાગના સૂત્રોમાંથી જાણવા મળે છે.

નરોડા-દહેગામ રોડ  ઉપર જીઈબી સ્ટેશન નજીક શિવ ટીમ્બર માર્ટ તથા કે.એન.પટેલ એન્ડ કંપની નામની લાકડાની પ્લેટ અને કેરેટ બનાવતી ફેકટરી આવેલી છે.આ ફેકટરીમાં આગ લાગી હોવાનો ફાયર કંટ્રોલને બુધવારે વહેલી સવારે પાંચના સુમારે મળતા ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને જવાનો નાના અને મોટા મળી કુલ ૧૪ વાહન સાથે ઘટના સ્થળે આગને કાબૂમાં લેવા ઘટના સ્થળે દોડી ગયા હતા.ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટની મળેલી પ્રતિક્રીયા મુજબ,આગ લાગવાનું ચોકકસ કારણ જાણવા મળી શકયુ નથી.પરંતુ શકય છે કે,શિયાળાની વહેલી સવારે તાપણુ કરવામાં આવ્યુ હોય અને પવન વધુ હોવાથી એમાંથી તણખા ઝરતા આગ લાકડાના જથ્થામાં લાગી હોવાની શકયતા નિવારી શકાતી નથી.