ચાલુ વાહને એટેક આવતા બે વાહનોને ટક્કરઃ ઈકો ચાલકનું મોત
ઈકો કારના ચાલકે બાઈક અને રિક્ષાને અડફેટે લેતા બાઈકચાલક ને ગંભીર ઈજા
અમદાવાદ,મંગળવાર
નરોડામાં ઈકો કાર લઈને જઈ રહેલી વ્યક્તિને ચાલુ કારે એટેક આવતા તેણે બાઈક અને રિક્ષાને અડફેટે લીધા હતા. આ બનાવમાં ઈકો કારના ચાલકનું મોત નીપજ્યું હતું. જ્યારે બાઈકચાલકને ગંભીર ઈજા થતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
આ બનાવની વિગત મુજબ કૃષ્ણનગ નવા નરોડામાં પાર્શ્વનાથ ટાઉનશીપમાં રહેતો અનિલ શ્રીરામ લોહે (૪૨) ૨૭ જુલાઈના રોજ નરોડા બેઠક પાસે આવેલી લેબોરેટરીમાંથી પોતાની ભત્રીજીનો રિપોર્ટ લઈને બાઈક પર નરોડા બેઠક ત્રણ રસ્તા પાસેથી પસાર થઈ રહ્યો હતો. દરમિયાન ઈકો કારના ચાલકે બેદરકારીપુર્વક વાહન હંકારીને અનિલની બાઈકને ટક્કર મારતા તે રોડ પર પટકાયો હતો. ઉપરાંત ઈકો કારે નજીકમાં પાર્ક કરેલી રિક્ષાને પણ અડફેટે લીધી હતી. અકસ્માતમાં અનિલના બન્ને ખભા મોઢા પર તથા માથામાં ઈજા પહોંચતા તે બેભાન જેવો થઈ ગયો હતો. સારવાર અર્થે તેને સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો.
બીજીતરફ ઈકો કારના ચાલક અને નરોડામાં દેવરાજ ફ્લેટમાં રહેતા હરદીપસિંહ સુરેન્દ્રસિંહ હરિયાલ(૪૮)ને પણ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. જી ટ્રાફિક પોલીસના જણાવ્યા મુજબ ચાલુ કારમાં હરદીપસિંહને હારટએટેક આવતા તેમણે વાહન પરનો કાબુ ગુમાવ્યો હતો. પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે.