વડોદરા,સલાટવાડામાં રહેતા વૃદ્ધે ધંધામાં મંદીના કારણે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે.જ્યારે શહેર નજીકના એક ગામમાં રહેતી ૧૭ વર્ષની કિશોરીએ માતા સાથે ઘરકામ બાબતે ઝઘડો થયા પછી આપઘાત કરી લીધો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, સલાટવાડા બારોટ મહોલ્લામાં રહેતા ૬૨ વર્ષના અશોક છગનભાઇ બારોટ શાકભાજીનો ધંધો કરતા હતા.પરંતુ,છેલ્લા કેટલાક સમયથી ધંધામાં મંદી આવવાના કારણે તેમણે ઘરે જ ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.બપોરે તેમનો મોટો પુત્ર રિક્ષા ચલાવીને ઘરે પરત આવ્યો ત્યારે પિતાના આપઘાતની જાણ થઇ હતી.બનાવની જાણ કારેલીબાગ પોલીસને કરવામાં આવતા હે.કો.નવીનભાઇએ સ્થળ પર જઇને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે અન્ય એક બનાવમાં શહેર નજીકના એક ગામમાં રહેતી ૧૭ વર્ષની કિશોરીને ગઇકાલે ઘરકામ બાબતે માતા સાથે ઝઘડો થતા તેણે આવેશમાં આવીને ફાંસો ખાઇ લીધો હતો.કિશોરીને ઉતારીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી.પરંતુ,તેનો જીવ બચી શક્યો નહતો.તાલુકા પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.


