સિવિલમાં ડિસ્ચાર્જ ટાસ્કફોર્સ, દર્દીને તરત બેડ મળે તે માટે પ્લાન ગોઠવાયો
- કોરોનાના દર્દીને છેલ્લી ઘડીની સારવાર મળે તેવા પ્રયાસો
- સિવિલના પ્રાંગણમાં એમ્બ્યુલન્સમાં દર્દીને સારવાર મળે તે માટે ડોક્ટરોની ટીમ ગોઠવાઇ,ગંભીર દર્દીને તરત જ દાખલ કરાશે
- સ્વસ્થ દર્દીને રજા આપી સિવિલમાં બેડ ખાલી રહે તે માટે આયોજન કરાયું, દર્દીના સગા માટે પાણીની સુવિધા કરાઇ
અમદાવાદ : અમદાવાદમાં કોરોનાના કેસો રોકેટગતિએ વધી રહ્યાં છે ત્યારે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને બેડ મળી રહે. એટલું જ નહીં, તુરત જ સારવાર મળી રહે તે માટે આયોજન કરાયુ છે. સિવિલ હોસ્પિટલમાં પથારીઓ ખાલી રહે તે માટે ડિસ્ચાર્જ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે.આ ટાસ્ક ફોર્સ માત્ર હોસ્પિટલમાં દાખલ દર્દી પર નજર રાખશે અને સ્વસ્થ દર્દીને રજા આપીને પથારી ખાલી કરીને અન્ય દર્દીને તરત જ પથારી મળી રહે તે માટે આયોજન કરશે.કોરોનાના પ્રત્યેક દર્દીને સારવાર મળી રહે તે માટે સિવિલ હોસ્પિટલના પ્રાંગણમાં તાત્કાલિક સારવાર કરવામાં આવી રહી છે જેનાથી મૃત્યુઆંક ઓછો થઇ શકે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સચાલિત શારદાબેન હોસ્પિટલ, એલજી હોસ્પિટલ અને એસવીપી હોસ્પિટલમાં દર્દીઓને દાખલ જ કરાતાં નથી. આ ઉપરાંત ૧૦૮ એમ્બ્યુલન્સ વાનમાં આવે તો દર્દીને દાખલ કરવો તેવો ફતવો જાહેર કરાયો છે. આ સંજોગોમાં બધી એમ્બ્યુલન્સ દર્દીઓને લઇને સિવિલ હોસ્પિટલ પહોંચી રહી છે જેના કારણે સિવિલ પ્રાંગણમાં એમ્બ્યુલન્સની લાઇનો લાગી છે.જોકે, હવે દદીઓને એમ્બ્યુલન્સ વાનમાં તાકીદની સારવાર અપાઇ રહી છે.
એડીશનલ સુપ્રિટેન્ડેન્ટ ડો.રજનીશ પટેલનું કહેવુ છેકે, ૧૦૮ એમ્બ્યુલન્સમાં કોરોનાના દર્દી આવે કે તરત જ તેની સારવાર શરૂ થઇ જાય તેવુ આયોજન કરાયુ છે. સિવિલના પ્રાંગણમાં જ ડૉક્ટરોની ત્રણ ટીમો ગોઠવાઇ છે જેના એમ્બ્યુલન્સમાં દર્દીની તપાસ કરે છે અને સ્થિતી જોઇને સારવાર શરૂ કરે છે.દર્દી સ્ટેબલ થાય તે માટે મલ્ટીવિટામીન દવા-ઇન્જેકશન આપવામાં આવે છે. જે દર્દીની સ્થિતી વધુ ગઁભીર હોય તેને પ્રાથમિકતા આપી તાકીદે દાખલ કરવામાં આવી રહ્યાં છે. સિવિલ પ્રાગણમાં જ ડૉક્ટરોની ટીમના પોઇન્ટ મૂકાયા છે. આ ઉપરાંત હાલમાં જે દર્દીઓની તબીયતમાં સુધારો થઇ રહ્યો છે તેમને રજા આપવામાં આવી રહી છે. વોર્ડમાં દર્દીને રજા આપીને બેડ ખાલી રાખવા, દર્દીને તુરત જ બેડ મળે તે માટે આયોજન કરવું તે કામગીરી માટે ડિસ્ચાર્જ ફોર્સની રચના કરાઇ છે.સિવિલમાં કુલ પાંચ ડિસ્ચાર્જ ટાસ્કફોર્સ ટીમો બનાવવામાં આવી છે.
દર્દીની સાથે આવતાં સગાઓ માટે પણ સિવિલના પ્રાંગણમાં પીવાના પાણીની સુવિધા કરવામાં આવી છે. આમ, સિવિલમાં કોરોના ના દર્દીને તાકીદે સારવાર મળે તે માટે સિવિલ સત્તાધીશોએ આયોજન કર્યુ છે.